ગુજરાતમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ: મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર!

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપી હતી.
૬૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે ૩૦ જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે ૬૬ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૭ ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
આપણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં કર્યો વધારો
મગફળી અને કપાસનુ વાવેતર
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કપાસનું અને ત્યારબાદ મગફળીનું પુષ્કળ વાવેતર અને ઉત્પાદન થાય છે.
આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે ૨૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને ૨૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટઃ ખરીફ પાક પર એમએસપી વધારી…
મગફળીના વાવેતરની સરખામણીએ ૧૧૫ ટકા વાવેતર પૂર્ણ
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિવર્ષ સતત વધી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું સરેરાસ ૧૭.૫૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ ૧૮.૮૨ લાખ હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું.
આ વર્ષે પણ ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અત્યાર સુધીમાં જ મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ ૧૧૫ ટકા વાવેતર પૂર્ણ થયું છે, જે હજુ પણ વધવાની સંભાવનાઓ છે.
કૃષિ પ્રધાને વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, મગફળી સહિત રાજ્યમાં તેલીબીયા પાકોનું કુલ ૨૪.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં ૧ લાખ હેકટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે.
આ ઉપરાંત, રાજ્યમાં ધાન્ય પાકોનું અત્યાર સુધીમાં ૯.૭૯ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ પાકોનું અત્યાર સુધીમાં ૨.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેમ જ ઘાસચારાનું અત્યાર સુધીમાં ૬.૪૬ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે.