અમદાવાદ

ગુજરાતમા વધતું શહેરીકરણ, પાણી પૂરવઠા માટે પૂરતા આયોજનની જરૂરિયાત

અમદાવાદ : ગુજરાતમાં સતત વધતા શહેરીકરણના લીધે શહેરોમાં અનેક પ્રકારની સુવિધામાં ઉમેરો કરવો જરૂરી બની રહ્યો છે. જેમાં હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપાયેલા રાજયના શહેરીકરણના અહેવાલમાં અનેક બાબતો પ્રકાશમાં આવી છે. જેમાં રાજ્ય સરકારે રચેલી શહેરી આયોજન પરની ઉચ્ચ સ્તરીય સમિતિએ ભાર મૂક્યો હતો કે ગુજરાત માટે આયોજિત વિકાસ એ સમયની જરૂરિયાત છે. તેમજ પાણી પુરવઠા માટે આયોજન શહેરી વિકાસની તાતી જરૂરિયાત છે.

2036 માં રાજ્યની 55 ટકા વસ્તી શહેરોમાં રહેવાનો અંદાજ

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર પાંચ વર્ષે 300 થી વધુ ગામડાઓ શહેરી દરજ્જામાં તબદીલ થઈ રહ્યા છે. ત્યારે વર્ષ 2036 માં રાજ્યની 55 ટકા વસ્તી શહેરોમાં રહેવાનો અંદાજ છે. ત્યારે રાજ્યનો માત્ર સાત ટકા હિસ્સો ઔપચારિક આયોજન હેઠળ છે. તેમ છતાં અર્ધ-શહેરી અને જિલ્લા સ્તરીય વિસ્તારોમાં અનિયંત્રિત વિકાસ થઇ રહ્યો છે.

અહેવાલ છ વિષયોની આસપાસ કેન્દ્રિત

આ અહેવાલ છ વિષયોની આસપાસ કેન્દ્રિત . જેમાં પર્યાવરણીય રીતે સંવેદનશીલ આયોજન અભિગમો અને શહેરી તળાવો અને જળાશયોના સંરક્ષણ માટે પાણી પૂરવઠા પ્રત્યે સંવેદનશીલ શહેરી આયોજન મહત્વપૂર્ણ છે. જેમ જેમ શહેરી વસ્તી વધશે તેમ તેમ પાણીની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે.

નકશાબદ્ધ કરીને જળાશયો તરીકે સૂચિત કરવા જોઈએ

રાજ્ય સરકારે રચેલી શહેરી આયોજન પરની ઉચ્ચ સ્તરીય સમિતિ નિવૃત્ત આઈએએસ કેશવ વર્માના નેતૃત્વ હેઠળની રચવામાં આવી છે. આ સમિતિએ ભલામણ કરી હતી કે રાજયના તમામ જાહેર અને ખાનગી તળાવો, ભરાયેલા અને સુકાઈ ગયેલાને નકશાબદ્ધ કરીને જળાશયો તરીકે સૂચિત કરવા જોઈએ. આ સમિતિએ ગુજરાતના શહેરોમાં સર્જનાત્મક પુનર્વિકાસની ભલામણ કરી હતી. તેમજ ગૃહનિર્માણ અને શહેરી પુનર્વિકાસને સરળ બનાવવા માટે વિકાસ અધિકારોનું હસ્તાંતરણને પ્રોત્સાહન આપ્યું હતું.

શહેરી ગતિશીલતા એક મુખ્ય ધ્યાન ક્ષેત્ર

આ ઉપરાંત આ અહેવાલમાં શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં સમિતિએ જાહેર પરિવહનની જરૂરિયાત અને અસરકારક પાર્કિંગ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો છે. વર્ષ 2024 માં રાજ્યમાં 18 લાખ વાહનોની નોંધણી થઇ હતી. જેમાં 12 લાખ ટુ-વ્હીલર, 3.5 લાખ ફોર-વ્હીલર અને 4,000 બસોનો સમાવેશ થાય છે.

9000 બસો સુધી પહોંચાડવાની જરૂર પડશે

તેમજ છેલ્લા 15 વર્ષમાં વાહનોની નોંધણી વાર્ષિક 41,000 થી વધીને વાર્ષિક 18 લાખ થઈ ગઈ છે. એકલા અમદાવાદમાં જ દરરોજ 200 થી વધુ નવી કારની નોંધણી થાય છે. જેના લીધે રોડ પર ટ્રાફિકનું ભારણ વધે છે.

શહેરી વિકાસના પડકારોને પહોંચી વળવા માટે સમિતિએ શહેરી પરિવહન માટે આયોજન માળખાને મજબૂત બનાવવા, જાહેર પરિવહન સેવાઓ વધારવા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો કરવાની ભલામણ કરી છે. પેનલે સૂચવ્યું છે કે વ્યક્તિગત વાહનનો ઉપયોગ ઘટાડવા માટે શહેરી બસોની સંખ્યા વધારવી જોઈએ. રાજ્યભરમાં હાલની 2000 શહેરી બસોના સ્થાને તે લગભગ 9000 બસો સુધી પહોંચાડવાની જરૂર પડશે.

આપણ વાંચો:  ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો, રાજકોટમાં SUVએ કર્યો યુવતીનો પીછો, જુઓ Video

પાર્કિંગ વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવી જોઈએ

આ ઉપરાંત મોટા બધા મોટા શહેરોએ પાર્કિંગ વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવી જોઈએ અને અમલમાં મૂકવી જોઈએ. આ યોજનાઓએ પાર્કિંગ વ્યવસ્થાપન ઝોન અને અમલીકરણ પદ્ધતિઓ ઓળખવી જોઈએ. સમિતિએ ભલામણ કરી હતી કે બધા મોટા શહેરો વ્યાપક પાર્કિંગ વ્યવસ્થાપન યોજનાઓ સાથે વિગતવાર પાર્કિંગ નીતિઓ તૈયાર કરે. આ માટે ઓન-સ્ટ્રીટ પાર્કિંગના સંકલિત સંચાલન અને અમલીકરણ માટે પાર્કિંગ સેલ બનાવવાની જરૂર પડશે. નગરપાલિકાઓએ પાર્કિંગ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ ભૂમિકાઓ અને જવાબદારીઓ જાહેર કરવી પડશે.

જિલ્લા શહેરી વિકાસ સત્તામંડળોની રચના કરવાની ભલામણ

રાજ્ય સરકારની શહેરી આયોજન પરની ઉચ્ચ-સ્તરીય સમિતિએ વધુ સારા વિકાસ માટે 34 જિલ્લાઓમાં દરેકમાં જિલ્લા શહેરી વિકાસ સત્તામંડળોની રચના કરવાની ભલામણ કરી છે. જોકે, વિભાગીય ખાલી જગ્યાઓ ભરવાની તાત્કાલિક જરૂર છે. કુલ 1,140 જગ્યાઓમાંથી 665 એટલે કે 58 ટકા જગ્યા ખાલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button