6 વર્ષની લડાઈ બાદ ખેડૂતોની જીત થઈઃ ગુજરાત હાઇ કોર્ટે પાકવીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદઃ છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી હતી. ગુજરાત હાઇ કોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
હાઇ કોર્ટે એસબીઆઈ ઈન્શ્યોરન્સ કંપનીને લાયકાત ધરાવતા 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો હતો. આ કુલ રકમ 7 કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે.
આપણ વાંચો: ખેડૂતોને મોટી રાહત: ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સૌરાષ્ટ્રના ચેકડેમો નર્મદા જળથી છલકાશે
આ કેસમાં સરકારે એક કમિટીની રચના કરી હતી, જેણે ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરી હતી. કમિટીના રિપોર્ટમાં ખેડૂતોને વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી હતી. હાઇ કોર્ટે આ રિપોર્ટને માન્ય રાખીને વીમા કંપનીના વાંધાઓને ફગાવી દીધા હતા
વીમા કંપનીએ દાવો કર્યો હતો કે સરકાર સાથે થયેલા કરાર મુજબ તે આ ચૂકવણી માટે જવાબદાર નથી. જોકે, હાઇ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાનિ ન થવી ન જોઈએ.
આપણ વાંચો: ડુમસ જમીન કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ભાગેડુ અનંત પટેલની ધરપકડ
અદાલતે કહ્યું કે ખેડૂતોએ સમયસર પ્રીમિયમ ભર્યું છે અને તેમને વીમાનો લાભ મળવો જ જોઈએ. આ ચુકાદાથી જે ખેડૂતોએ વ્યક્તિગત રીતે પોતાના દાવા રજૂ કર્યા હતા, તેમને પણ હવે દાદ માગવાનો વિકલ્પ ખુલ્લો થયો હતો.
લાયક ખેડૂતોને જુલાઇ 2023થી બેંક વ્યાજ સાથે વીમા સહાયની ચૂકવણી કરવા ગુજરાત હાઇ કોર્ટ દ્વારા આયેલી સુનાવણીમાં હુકમ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે 7 ઓક્ટોબર 2020 ના રોજ ખેડૂતોને વીમા ચૂકવણીની પ્રક્રિયા ત્રણ મહિનામાં પૂરી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
જે ખેડૂતોના નામ સરકાર દ્વારા સુપરત કરવામાં આવેલા 11 જુલાઇ 2023ના રિપોર્ટમાં ન હોય એવા ખેડૂતો સક્ષમ અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે એ મુજબનું અવલોકન પણ નામદાર ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા કરવામાં આવ્યું હતું.