
અમદાવાદઃ દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. ચાલુ માસમાં શહેરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં એક સપ્તાહમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જુનાગઢમાં પણ એક પોઝિટિવ કેસ જાહેર થયો છે. રાજકોટમાં તા.19ના વિદેશથી આવેલા યુવાનને કોરોના પોઝિટિવ બાદ તે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. શહેરમાં કોરોનાના પાંચ કેસો નોંધાયા છે અને 4 કેસો એક્ટિવ છે. જુનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા 60 વર્ષીય વૃદ્ધનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ડાયમંડ નગરી સુરતમાં ખાનગી હૉસ્પિટલમાં ફરજ બજાવતાં તબીબ સિક્કિમથી પરત સુરત આવ્યા બાદ કોરોનાના લક્ષણ દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશ દુનિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 1072ને પાર કરી ગઈ છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે. કેરળમાં 430 એક્ટિવ કેસ છે.દેશમાં કોરોનાથી 11 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 9 લોકોના મોત એક સપ્તાહની અંદર જ થયા છે.
બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ દાવો કર્યો છે કે દુનિયામાં 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તાહે સરેરાશ 350 લોકોનાં મોત થયા હતા.
કોરોનાથી કેવી રીતે બચશો
- વારંવાર હાથ સાફ કરો
- માસ્ક પહેરો
- સેનિટાઇઝરનો ઉપયોગ કરો
- સંક્રમિત લોકોથી અંતર જાળવો