આંગણવાડીમાં બાળકોની નોંધણી હવે એઆઈ આધારિત, 78 લાખની અપેક્ષા સામે 40 લાખ જ નોંધાયા

અમદાવાદઃ રાજ્ય સરકારની 53,000 આંગણવાડીઓમાં લગભગ 78 લાખ બાળકોની નોંધણીની અપેક્ષા સામે માત્ર 40 લાખ બાળકની નોંધણી થઈ હોવાનું ધ્યાનમાં આવતા ગુજરાત સરકારે આંગણવાડીમાં નોંધણી ઝુંબેશને વધુ તેજ બનાવી છે.
દરેક પાત્ર બાળકની નોંધણી થાય તેની તકેદારી રાખવાની સૂચના આરોગ્ય વિભાગને આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્રણથી છ વર્ષના બાળકને પ્રિ-પ્રાઈમરી એજ્યુકેશન અને અને મફત ભોજન આંગણવાડીમાં પૂરું પાડવામાં આવે છે.
બાળકોની નોંધણી થાય અને તેના પર વિશેષ ધ્યાન રાખી શકાય તેમ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત એપ બનાવવામાં આવી છે, જે દ્વારા ગાંધીનગરના અધિકારીઓ એક્ચ્યુલ ટાઈમ અને રજિસ્ટેશન પર નજર રાખી શકે. આમ કર્યા બાદ છેલ્લા અઠવાડિયામાં જ, આ કેન્દ્રોમાં 40,000 થી વધુ બાળકો વધારે જોડાયા હોવાનું પણ એક અધિકારી જણાવ્યું હતું.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ એપ્લિકેશન સચોટ ડેટા મેળવવામાં મદદ કરશે અને કોઈ પણ બાળક બાકાત ન રહે તે માટે મદદરૂપ સાબિત થશે. ગયા અઠવાડિયે આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સામે અમુક ચોંકાવનારી વિગતો આવી હતી.
આપણ વાચો: દેશની રક્ષા કરતા જવાનો માટે 53 હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ મોકલી
ઘણા વિસ્તારોમાં માતાપિતા તેમના બાળકો સાથે આવે છે ત્યારે આંગણવાડીઓને તાળુ લાગેલું રહે છે, જ્યારે ઘણા આદિવાસી વિસ્તારોમાં પરિવારોને ભાગ્યે જ ખબર હોય છે કે આવા કેન્દ્રો અસ્તિત્વમાં છે. મોટેભાગે ગરીબ અને મજૂરવર્ગના બાળકો આવતા હોવાથી તેમના માતાપિતા કામ પર બહાર હોય છે, અને બાળકોનું આંગણવાડીમાં કોઈ ધ્યાન રાખનારું હોતું નથી. બાળકો કુપોષિત હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાર્ષિક 16 લાખથી વધુ બાળકના જન્મ થાય છે, અને એક અંદાજ મુજબ, 78 લાખથી વધુ બાળકો આંગણવાડીઓમાં હાજરી આપતા હોવા જોઈએ. છતાં હાલમાં ફક્ત 40 લાખ બાળકો જ નોંધાયેલા છે. તેમાંથી પણ અનેક કલ્યાણકારી યોજનાઓ હોવા છતાં, પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 40 ટકા બાળકો ઓછા વજનવાળા અથવા નબળા રહે છે.
સરકાર આંગણવાડીના બાળકો માટે નાણાભંડોળ ઠાલવે છે ત્યારે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, તેમ જણાવી આરોગ્ય વિભાગના કમર્ચારીઓને ઉપરી અધિકારીઓ તરફથી તાકીદ કરવામાં આવી હોવાનું અધિકારીસૂત્રોએ જણાવ્યું હતું.



