Mahakumbh: બાંગ્લાદેશની સ્થિતિ પર સરકારે લાલ આંખ કરવાની જરુંર – પ્રવીણ તોગડિયા

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ ગુરૂવારે સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશમાંથી ભારતમાં આતંક ફેલાવી શકે
બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાની જરુંર
તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે કહ્યું હતું કે એકવાર આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. જો હવે આંખ લાલ કરીશું તો બાંગ્લાદેશના ચાર ટુકડા થશે. હિન્દુઓની બહુમતી માટે જરૂર પડ્યે કાયદો અને દંડા બન્નેની મદદ લઈશું.
હિન્દુ પરિષદ કરશે વ્યવસ્થા
તેમણે કહ્યું હતું કે, પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમાં કરોડો લોકો હાજરી આપવાના છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક લાખ લોકોને રોજ ચા-નાસ્તો, પીવા માટે ગરમ પાણી અને એક લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે. તે ઉપરાંત આઠ હજાર લોકો રોકાણ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે હિન્દુઓની સુરક્ષા ગોઠવાય એ પ્રકારે લોકોને વધુ જાગ્રત કરીશું. બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે એ જોતાં સરકારની આંખ લાલ થવી જોઈએ. મને આશા છે કે નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજનાથ સિંહ ચોક્કસ બાંગ્લાદેશ સામે આંખ લાલ કરશે. દેશમાં હિન્દુઓનો બહુમત જળવાઈ રહે એ માટે જ્યાં કાયદાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં એનો ઉપયોગ કરીશું, જ્યાં દંડાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં એનો પણ ઉપયોગ કરીશું.