
અમદાવાદ : ગુજરાતના ગોંડલમાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા રવિવારે ગોંડલની મુલાકાતે હતા. જેમાં તેમણે આશાપુરા મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારે નીકળતા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ ગાડીમાં તોડફોડ કરનારા બે વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે.
અલ્પેશ કથીરિયાએ કહ્યું આ મિર્ઝાપુર છે
જોકે, ગોંડલની મુલાકાતમાં થયેલા હુમલા બાદ અલ્પેશ કથીરિયા જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલા કરવામાં આવે છે. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિના ઈશારે નચાવવામાં આવી રહી છે.
અમારી પર હુમલો કરાવ્યો
કથીરિયા જણાવ્યું હતું કે, અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર પર અચાનક પથ્થરમારો થયો અને 7 થી 8 ગાડીઓને ભારે નુકસાન થયું છે.અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે,ગોંડલમાં આવ્યા તો લોકોએ અમારૂ સ્વાગત કર્યુ જે ગણેશ ગોંડલથી સહન ના થયું એટલે તેમણે અમારી પર હુમલો કરાવ્યો છે.
ગબ્બર નહીં ગદ્દાર લખેલા બેનર દર્શાવાયા
ગોંડલ પહોંચ્યા બાદ અલ્પેશ કથીરિયાએ આશાપુરા મંદિર ખાતે દર્શન કર્યા હતા. જે બાદ અક્ષર ધામ મંદિર પહોંચ્યા હતા. તેનો કાફલો અક્ષર મંદિર પહોંચ્યો ત્યારે ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકોએ બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. ગોંડલમાં સર્વજ્ઞાતિ એકજૂથ હોવાના બેનરો દર્શાવાયા હતા. અલ્પેશ કથીરિયાને લઈ ગબ્બર નહીં ગદ્દાર લખેલા બેનર પણ દર્શાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ, હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી