ખેડાના માતરમાં દરગાહ, મસ્જિદની આસપાસ ગરબા પર પ્રતિબંધના બોર્ડ લાગતાં વિવાદ

અમદાવાદઃ નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ખેડાના માતરમાં વિવાદાસ્પદ બોર્ડ લાગ્યા છે. માતરના નાની ભાગોળમાં ધાર્મિક સ્થળ પાસે ગરબા ગાવા કે વગાડવાની સખત મનાઈ હોવાના બોર્ડ લાગતાં વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી વિગત પ્રમાણે, ખેડાના માતરના નાની ભાગોળ, હુસેની ચોકમાં આવેલા કબ્રસ્તાન પાસે એક બોર્ડ લગાવામાં આવ્યું હતું. જેમાં ‘નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે’ તેવું બોર્ડ લાગ્યું હતું. લિ.સું.પંચ નાની ભાગોળ તેમ પણ લખવામાં આવ્યું છે. જોકે મામલો સામે આવતાં પોલીસે બોર્ડ હટાવવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં ગરબા આયોજકો માટે આટલા નિયમોનું પાલન કરવું પડશે, નવરાત્રી પહેલા તંત્રની કડક કાર્યવાહી
પોલીસ દ્વારા આદેશ કરતા બોર્ડ પર કલર મારી દેવામાં આવ્યો હતો. વિવાદિત બોર્ડ લગાવવા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ બોર્ડ કોણે માર્યું, તેનો શું ઇરાદો હતો તે દિશામાં અને બોર્ડ લગાવનારની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી. સામાન્ય રીતે, તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળોની આસપાસ લોકોની લાગણી દુભાય નહીં તે માટે સાવચેતી રાખવામાં આવતી હોય છે. આ બોર્ડ પણ તે જ ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે.