ફટાકડાનો 'ધમાકો' બન્યો મોતનું કારણ, અમદાવાદમાં યુવકોની ભૂલથી સગીરાનું કરૂણ મૃત્યુ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ફટાકડાનો ‘ધમાકો’ બન્યો મોતનું કારણ, અમદાવાદમાં યુવકોની ભૂલથી સગીરાનું કરૂણ મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં ફટાકડા ફોડતા યુવકોની બેદરકારીથી સગીરાનું મૃત્યુ થયું હતું. જેના કારણે સગીરાના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. મળતી વિગત પ્રમાણે, ન્યૂ રાણીપ વિસ્તારમાં 21 ઓક્ટોબરની રાત્રે ત્રણ યુવકો લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો ટુકડો ઉડીને સગીરાના કપાળ પર વાગ્યો હતો. જેથી સગીરાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક સગીરાના પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

16 વર્ષીય મૃતક સગીરા ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 21 ઓક્ટોબરની રાત્રે તેમની પુત્રી તેની મિત્ર સાથે પટેલ ડેરી પાર્લર પાસે ઊભી હતી. આ સમયે એક મોટો વિસ્ફોટ સંભળાયો હતો અને મદદ માટે બૂમો પડતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે તેમની દીકરીના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું અને તે બેભાન અવસ્થામાં પડી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ 22 ઓક્ટોબરના રોજ સાંજે 6:25 વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

તેમણે આસપાસની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ ત્રણ યુવકો પર આરોપ લગાવ્યો હતો. ફૂટેજમાં તે જ સોસાયટીના રહેવાસી 19 વર્ષના નીલ હિરેનભાઈ રામી અને બે 13 વર્ષના સગીરો ઓમ કુંતેશ્વર મહાદેવ મંદિરની સામેના જાહેર રોડ પર લોખંડના પાઈપમાં ફટાકડા ભરીને સળગાવતા જોવા મળ્યા હતા. બેદરકારીપૂર્વક સળગાવવામાં આવેલા ફટાકડા ભરેલી લોખંડની પાઈપનો ટુકડો ઉડીને તેમની પુત્રીના કપાળ પર વાગ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.

આપણ વાંચો:  વિધિની વક્રતાઃ ભાઈબીજના દિવસે પાંચ બહેનના ભાઈનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button