પ્લેન ક્રેશ: મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલ લેવા પરિજનો હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ક્રેશ થઈ હતી જેમાં 242 લોકોમાંથી એકનો બચાવ થયો છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ કરવા માટે બી. જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે પીડિતોના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મૃતદેહની ઓળખ કરવા અને ડીએનએ સેમ્પલ આપવા માટે પ્રવાસીઓના સબંધીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
મૃતદેહોને સ્વીકારવા માટે પ્રવાસીઓના સંબંધીઓ પહોંચ્યા
એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ મૃતદેહોને સ્વીકારવા માટે પ્રવાસીઓના સંબંધીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. મૃતકોની ઓળખ કરવા માટે બી. જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે પીડિતોના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. નજીકના પરિવારના સભ્યોના લોહીના નમૂનાઓને પરીક્ષણ માટે ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે, જેથી મૃતકોની સાચી ઓળખ થઈ શકે.
અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ હોસ્પિટલ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ/હતભાગીઓના મૃતદેહ ત્યારે જ તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવશે જ્યારે તેમનું DNA મેચિંગ સફળતાપૂર્વક થઈ જશે. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા બી. જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા PSM વિભાગ પાસેના કસોટીભવન ખાતે ચાલી રહી છે.
DNA રિપોર્ટ આવતા લાગી શકે ત્રણ દિવસનો સમય
સિવિલ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ DNA રિપોર્ટ આવતા ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગી શકે છે. મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે, જેથી તેમને અપડેટ્સ મળી રહે. આ વ્યવસ્થા મૃતદેહોની ઓળખ સુનિશ્ચિત કરવા અને સાચા પરિવારજનોને જ સુપરત થાય તે માટે ગોઠવવામાં આવી છે