
અમદાવાદઃ ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને તેમાં સવાર 242માંથી 241 ઉતારુંના મોત થયા. આ સાથે આ પ્લેનનો સળગતો ભાગ અહીની બી જે મેડિકલ હૉસ્ટેલની ઈમારત પર પડ્યો અને અહીં હાજર ઘણાના પણ જીવ ગયા. મૃતકોનો સત્તાવાર આંકડો બહાર આવ્યો નથી, પરંતુ બિનસત્તાવાર રીતે 315 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાનો ભોગ બનેલાઓના મૃતદેહ એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમને ઓળખવા મુશ્કેલ છે, આથી તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ઘટડના બન્યા બાદ સ્વજનો અમદાવાદ આવી રહ્યા છે અને તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સ્વજનોને મૃતકોના મૃતદેહ મળશે. આ દરમિયાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગ બહાર સ્વજનો આવી રહ્યા છે.
આકાશ પટ્ટણી નામના એક માંડ 15 વર્ષના દીકરાને ગુમાવનાર તેના પિતા કહે છે કે હું મારા કામે ગયો હતો. મારી પત્ની હોસ્ટેલ પાસે ચાની લારી ચલાવે છે, તેની સાથે મારો દીકરો પણ સાથે રહેતો અને મદદ કરતો. તે દિવસે તે જમીને ત્યાં આરામ જ કરતો હતો અને પ્લેનનો સળગતો ભાગ પડ્યો. તેની મમ્મી કંઈ સમજી નહીં પણ તેને બચાવવા ભાગી અને તે પણ દાઝી ગઈ. દીકરો તો ભડથું થઈ ગયો અને મારી પત્ની 50 ટકા દાઝી ગઈ છે અને સારવાર લઈ રહી છે. દીકરા માટે મેં ડીએનએ સેમ્પલ આપ્યા છે અને હવ તેના મૃતદેહની રાહ જોઈ રહ્યા છીએ.
તો બીજી બાજુ પ્રદલાદ નામના એક દાદા પોતાની પૌત્રી અને પત્નીને શોધી રહ્યા છે. હૉસ્ટેલની કેન્ટિનમાં તેમના પત્ની કામ કરતા હતા ને નાનકડી પૌત્રી પણ તેમની સાથે હતી. તેમના કહેવા અનુસાર તેમની કોઈ ભાળ મળતી નથી. તેઓ દરેક જગ્યાએ પત્નીનો ફોટો લઈ પૂછી રહ્યા છે.
તો બીજી બાજુ દીકરો પણ માને શોધી રહ્યો છે. ગઈકાલે ઘટના બાદ પરિવારજનોને આશા હતી કે કદાચ તેમના સ્વજન બચી ગયા હોય, પરંતુ 241 યાત્રીના મોતની ખબર જેમ જેમ આવી ગઈ તેમ તેમ પરિવારની ધીરજ ખુટી ગઈ. ચરોત્તર, સૌરાષ્ટ્ર સહિતના મતૃતોકના સ્વજનો અમદાવાદ આવ્યા છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી, આ રીતે કર્યાં યાદ
જોકે સિવિલ હૉસ્પિટલ બહાર વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત છે અને સ્વજનોને પણ કહેવામાં આવ્યું છે કે ડીએનએ ટેસ્ટના બે કે ત્રણ દિવસ બાદ રિપોર્ટ મળશે. એક તો આ રીતે ઘરનું માણસ ગુમાવવાનું અને તેમનો મૃત ચહેરો જોવા પણ પરિવારે તરસવું પડ્યું છે.