
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દોહા-હોંગકોંગ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. કતાર એરવેઝની ફ્લાઇટ હોવાનું સામે આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું, પરંતુ આ બનાવને કારણે એરપોર્ટ પ્રશાસનના જીવ અદ્ધર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. વિમાનની ઉડાન દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
આ પહેલા ઓગસ્ટ 28, 2025ના રોજ સુરતથી દુબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું પણ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર લગભગ 150થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા અને બાદમાં તેમને વૈકલ્પિક વિમાન દ્વારા દુબઈ મોકલવામાં આવ્યા હતા