અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ સર્વિસ ફરી શરૂ, પ્રથમવાર જન્માષ્ટમીની કરાશે ઉજવણી

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી હતી. વિપક્ષે મોટા ભાગના પ્રોજેક્ટનું બાળમરણ થયું હોવાનો આક્ષેપ કર્યા બાદ તાત્કાલિક આ સર્વિસ શરૂ કરાઈ હતી. ચાર મહિનાના વિરામ બાદ હવે ફરી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી હતી.
આ સેવા માટે ઓનલાઈન બુકિંગની સવિધા શરૂ કરવામાં આવી હતી. જન્માષ્ટમીની પ્રથમવાર ક્રૂઝ પર ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી પર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝમાં રાત્રે 11 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી કેફે સેવા શરૂ કરાઈ હતી.
આપણ વાંચો: ઓમર અબદુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર દોડ લગાવીઃ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા હાકલ કરી…
ત્રણ-ચાર મહિનાથી બંધ હતી સર્વિસ
થોડા મહિના પહેલા સાબરમતી નદીને કલીન કરવા નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે પાણીનું ઘટતું સ્તર ઘટી જતાં ઘણા સમયથી આ સેવા બંધ હતી. પરિણામે આ પ્રોજેક્ટનું સંચાલન કરતા ગ્રૂપને રૂ. 3 થી 3.5 કરોડનું ભારે આર્થિક નુકસાન થયું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઘટવાથી ઉદ્ભવતી ટેકનિકલ સમસ્યાઓને કારણે ક્રૂઝ સેવા છેલ્લા 3 થી 4 મહિનાથી બંધ હતી. આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર પાસે સહકારની માંગણી કરવામાં આવી હતી. આર્થિક અને ટેકનિકલ પડકારોને પહોંચી વળવા આ ગ્રૂપે તેમને ચૂકવવામાં આવતું માસિક ભાડું માફ કરવાની રજૂઆત કરી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું
શું છે આ ક્રૂઝના ખાસિયત
ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રૂઝ શહેરીજનોની સુવિધા ઉપરાંત સલામતી-સુરક્ષા પણ પૂરી પાડે છે. 30 મીટર લાંબી અને 10 મીટર પહોળાઈ ધરાવતા આ ક્રૂઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા છે.
તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે. ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરાં ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે.
ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરાંમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ છે. રેસ્ટોરાં ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં આવ્યું છે.