અમદાવાદના નારોલમાં વીજળીનો કરંટ લાગતા દંપતીનું મોત: તંત્રની બેદરકારીનો સ્થાનિકોનો આરોપ...
અમદાવાદ

અમદાવાદના નારોલમાં વીજળીનો કરંટ લાગતા દંપતીનું મોત: તંત્રની બેદરકારીનો સ્થાનિકોનો આરોપ…

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં વરસાદી પાણી ભરાયેલું હતું અને આ પાણીમાંથી એક્ટીવા લઈને પસાર થઈ રહેલા એક દંપતીને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગવાથી એક દંપતીનું મોત થયું હતું. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, અમદાવાદના નારોલ વિસ્તારના રહેવાસી પતિ-પત્ની ગઈકાલે રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. આ રોડ પર મોટા ખાડાઓ છે અને તેમાં વરસાદનું પાણી ભરાયેલું હતું. જો કે આ પાણીમાંથી અચાનક વીજ કરંટ લાગતા બંને બેભાન થઈને પાણીમાં પડી ગયા હતા.

સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરી હતી. વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે બંનેને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

પ્રાથમિક વિગતો અનુસાર બંને મૃતકોની ઓળખ નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટના રહેવાસી અંકિતાબેન રાજનભાઇ સિંગલ (ઉ.વ.27) તથા રાજન હરજીવનભાઇ સિંગલ, (ઉ.વ.32) તરીકે થઈ હતી. અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રોડ પર ઘણા સમયથી ખાડાઓ હતા અને વરસાદનું પાણી ભરાઈ રહ્યુ હતું.

કરોડોના બજેટ છતાં તંત્રની બેદરકારીને કારણે આ દંપતીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સ્થાનીકોએ કર્યો હતો. આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

આ પણ વાંચો…રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ, પરિવાર શોકમાં ગરકાવ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button