Top Newsઅમદાવાદ

કિંજલ દવેને ન્યાત બહાર મૂકવાનો વિવાદ, જાણો કિંજલે શું કહ્યું

અમદાવાદઃ ગુજરાતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો.

કાંકરેજના શિહોરી ખાતે સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી હતી.

કિંજલ દવેએ આજે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.

તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?

કિંજલ દવેએ પોતાના નિર્ણયને વધાવતા કહ્યું કે, હું નસીબદાર છું કે મને એવા પરિવાર અને પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જ્યાં રાત-દિવસ ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે. મને અને મારા નિર્ણયને મારા પાર્ટનરના પરિવારે ખૂબ જ આદર અને સત્કારથી સ્વીકાર્યા છે.

છેલ્લે, તેમણે સમાજની કેટલીક જૂની પ્રથાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, એક તરફ દીકરીઓ પ્લેન ઉડાવે છે અને આર્મીમાં છે, અને બીજી તરફ હજી પણ બાળ લગ્ન, સાટા પ્રથા જેવી સમસ્યાઓ ચાલુ છે, જેની પીડિત હું પણ છું. દીકરીઓના પૈસા લેવામાં આવે છે અને તેમને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. આના પરથી જ ખબર પડે છે કે સમાજમાં ક્યાં કેટલો વિકાસ થયો છે અને ક્યાં દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની જરૂર છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button