ધોળકાનું પ્રદૂષણ નહીં રોકવા બદલ કલેક્ટર, GPCB ચેરમેન સહિત ઉચ્ચ અધિકારીઓને ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ!

અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોમાં જળસ્રોતોમાં ફેલાયેલા અતિશય પ્રદૂષણને નિયંત્રિત કરવામાં લાંબા સમયથી નિષ્ફળ રહેવા બદલ ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ચાર IAS અધિકારીઓ અને ધોળકાના ચીફ ઓફિસર સામે કોર્ટના તિરસ્કાર (Contempt of Court)ની કાર્યવાહી શરૂ કરવા માટે નોટિસ પાઠવી છે.
જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે 25 સપ્ટેમ્બરના રોજ આ નોટિસ જારી કરી હતી. નોટિસ મેળવનારા અધિકારીઓમાં GPCBના ચેરમેન આર.બી. બારડ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કો લિ. (GUDCL)ના મેનેજિંગ ડિરેક્ટર રમ્યા મોહન અને ચેરમેન એમ. થેન્નારસન તેમજ ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થના જાડેજાનો સમાવેશ થાય છે.
વર્ષ 2018માં હાર્દિક શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી તેમજ ઔદ્યોગિક એકમોનું રાસાયણિક પ્રદૂષિત પાણી એક ખુલ્લી નહેરમાં છોડવામાં આવે છે, જે ત્રાસદ, ભેતાવડા અને નેસડા ગામોમાંથી પસાર થાય છે. આ પ્રદૂષિત પાણી ખેતરો અને ઘરોમાં પ્રવેશીને પાક અને પીવાના પાણીને અસર કરી રહ્યું છે, જેના કારણે ગામલોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
કોર્ટે ટિપ્પણી કરી હતી કે GPCBને આ અંગે વર્ષ 2016માં નોટિસ ફટકારવામાં આવી હતી અને 2021માં GUDCLને ગંદા પાણીના શુધ્ધિકરણ માટે માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. તેમ છતાં, જળસ્રોતોના તાજેતરમાં જ લેવાયેલા નમૂનાઓમાં ગટરના પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ થતી નથી અને તે નદી તેમજ ગામના જળસ્રોતોને પ્રદૂષિત કરી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓ કોર્ટના આદેશોની અવગણના કરતા જણાય છે, તેથી તેમની પાસે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ વધતો નથી. કોર્ટે અધિકારીઓને આગામી સુનાવણીની તારીખ એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં જળ પ્રદૂષણ રોકવા માટે એક નક્કર યોજના સાથે આવવા નિર્દેશ આપ્યો છે.