
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ વિમાન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ વિમાનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.
ઈજાગ્રસ્તોને ઝડપી હોસ્પિટલ પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશઃ તમામ યાત્રીઓના મૃત્યુના દુઃખદ સમાચાર, ડેથટોલ વધી…
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘવાયેલા 25 લોકોની યાદી જાહેર
તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમ અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘવાયેલા 25 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વીટર પર આ યાદી જાહેર કરી છે, જેમાં મોટાભાગના 18થી 21 વર્ષના યુવાનોનાં નામનો સમાવેશ થાય છે.