વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવાની શરૂઆત; 39 મૃતદેહો DNA મેચ થયા

અમદાવાદ: ૧૨ જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાનાં મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સુપરત કરવાની પ્રક્રિયા શરૂ ધરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડ હોસ્પિટલ સામે આવેલા PM રૂમ ખાતેથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મૃતદેહોને પરિવારજનોને સોંપાયા
મળતી વિગતો અનુસાર 248 લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે, અને તેમાંથી ૩૯ મૃતદેહોના ડીએનએ તેમના પરિવારજનોના ડીએનએ સાથે મેચ થયા છે. આ મેચ થયેલા મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહોને લઈ જવા માટે વડોદરાથી ટ્રક ભરીને કોફિન લાવવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પરિવારજનોને વહેલી તકે મૃતદેહો સુપરત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વધુ એક મૃતદેહ મળી આવ્યો
ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોને તેમના પરિવારને સોંપવા માટેની તૈયારી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓને સિવિલ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ મૃતદેહોને તેમના પરિવારને સન્માન સાથે સોંપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે ઘટનાસ્થળ પરથી કાટમાળ કાઢતી વખતે પ્લેનના પાછળના ભાગેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.