
અમદાવાદઃ દેશના નાગરિકોને તબીબી સારવારના ખર્ચનું ભારણ નાબૂદ કરતી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજય)માં અત્યાર સુધી ગુજરાતમાં કુલ 2,82,88,362 કાર્ડ બનાવવામાં આવ્યા છે. જેની સંખ્યા દેશમાં છઠ્ઠા નંબરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા પોતાના ફાળાના ગુજરાતને કુલ 1168 રૂપિયા ચૂકવાયા છે.
અનેક રાજ્યમાં પીએમજે કાર્ડ ઓછી સંખ્યામાં છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં તે નાગરિકોને સરકાર દ્વારા અપાઇ રહ્યા છે. કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોકસભામાં અપાયેલી માહિતીમાં જણાવ્યા મુજબ અત્યાર સુધી દેશભરમાં કુલ 41 કરોડથી વધુ પીએમજય કાર્ડ અપાયા છે.
આપણ વાંચો: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજતી હૉસ્પિટલોએ કરવું પડશે આ કામ, જાણો વિગત
તાજેતરમાં 70 વર્ષથી વધુ વય હોય તેવા 6 કરોડ નાગરિકોનો પણ કાર્ડ આપવામાં સમાવેશ કરાયો છે. તે સાથે જ આશા વર્કર, આંગણવાડી કાર્યકર અને ફિમેલ હેલ્થ વર્કરને પણ કાર્ડ અપાય છે.
દેશમાં સૌથી વધુ 5.33 કરોડ કાર્ડ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા છે. તે પછી મધ્યપ્રદેશમાં 4.35 કરોડ, બિહારમાં 3.91 કરોડ, ઓરિસ્સામાં 3.46 કરોડ અને મહારાષ્ટ્રમાં 3.17 કરોડ કાર્ડ જારી કરાયા છે. રાજસ્થાનમાં 2.25 કરોડ, દિલ્હીમાં 3.88 લાખ, પંજાબમાં 90.85 લાખ કાર્ડ અપાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમજય કાર્ડ દ્વારા પોતાના હિસ્સાની રકમ આપવાની થાય તેમાં ગુજરાતને વર્ષ 2022-23માં 660.15 કરોડ, 2023-24માં 267.48 કરોડ અને 2024-25માં 240.58 કરોડ રૂપિયા અપાયા છે. આ યોજના અંતર્ગત દેશમાં કુલ 31,466 હોસ્પિટલોને એમ્પેનલ્ડ કરાઇ છે. જેમાં 14,194 ખાનગી હોસ્પિટલ છે.
આપણ વાંચો: ગુજરાતમાં નમો શ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય
ગુજરાતમાં કેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયા?
ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન મોટા પાયે થાય છે ત્યારે વર્ષ 2024માં ગુજરાતમાં કુલ 1018 કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોવાનું કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે. દિલ્હીમાં 2490, કેરળમાં 1139, મહારાષ્ટ્રમાં 1461, તમિલનાડુમાં 1796 અને પશ્વિમ બંગાળમાં 1003 જેટલા કિડની પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવ્યા છે.