અમદાવાદ

ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલ વિવાદમાં, આયુષ્માન યોજનામાં કર્યું 18 લાખનું કૌભાંડ

PMJAY પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેઈમ કર્યા

અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલના (Khyati Hospital) કૌભાંડ બાદ આવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ખંભાતની કાર્ડિયાક કેર હૉસ્પિટલ સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ હૉસ્પિટલે આયુષ્માન યોજના (Ayushman Yojana) હેઠળ 18 લાખનું કૌભાંડ કર્યું હતું. PMJAY પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેઈમ કર્યા હતા. હૉસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજીસ્ટર્ડ કાર્ડિયોલોજીસ્ટ હતા જ નહીં છતાંય 118 દર્દીઓની સારવાર થઈ તો કોણે કરી? તેવો પ્રશ્ન ઉભો થયો છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં (loksabha) આપેલી માહિતી મુજબ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં (pradhan mantri jan aayog yojana) ગુજરાતની ખાનગી હૉસ્પિટલોએ 31.58 કરોડના ખોટાં બિલ મૂક્યાં હતા. આ યોજનામાં ગેરરીતિ બદલ દેશમાં 1,114 હૉસ્પિટલને યોજનામાંથી હટાવવામાં આવી છે. ગુજરાતની 71 સહિત દેશમાં 571 હૉસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ યોજનામાં ગેરરીતિ અને દુરુપયોગને પારખવા માટે નેશનલ એન્ટિ ફ્રોડ યુનિટ દ્વારા બેઝ્ડ ટ્રિગર, મશીન લર્નિંગ અલ્ગોરિધમ, ઇમેજ ક્લાસિફિકેશન વગરે જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

લોકસભામાં રજૂ થયેલી વિગત પ્રમાણે, ગુજરાતમાં 2018-19થી 2023-24 દરમિયાન 11.20 કરોડ રૂપિયા ખાનગી અને સરકારી હૉસ્પિટલોને ચૂકવાયા હતા. જેમાં 60 ટકાથી વધુ રકમ ખાનગી હૉસ્પિટલોને ચૂકવવામાં આવી હતી. આ છ વર્ષ દરમિયાન રાજ્યમાં 50.22 લાખ દર્દીઓએ આયુષ્માન યોજના હેઠળ સારવાર લીધી હતી. છેલ્લાં 3 વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ 3.37 લાખ દર્દીઓની આ યોજના હેઠળ સારવાર કરાવી છે.

આ પણ વાંચો : ખ્યાતિ હૉસ્પિટલનાં ડિરેકટર રાજશ્રી કોઠારીના રિમાન્ડ મંજૂર, વકીલે કર્યાં ચોંકાવનારા ખુલાસા…

ગુજરાતમાં કેટલી હૉસ્પિટલનો કરવામાં આવી સસ્પેન્ડ

લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આયુષ્માન યોજનામાં 4 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ ગુજરાતમાં 9 ડૉક્ટર્સ અને 71 હૉસ્પિટલને સસ્પનેડ કરવામાં આવ્યા છે. બે હૉસ્પિટલને આ યોજનામાંથી હટાવાઈ છે અને એકને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી હૉસ્પિટલોને 19.90 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને તેમની પાસેથી 15 કરોડ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલના 31.58 કરોડના ક્લેમ રિજેક્ટ

આયુષ્માન યોજનામાં ગેરરીતિ, દુરુપયોગ અને ખોટી એન્ટ્રી જેવા કારણોસર ખાનગી હૉસ્પિટલોના કલેમ મોટી સંખ્યામાં નકારવામાં આવ્યા હતા. 14 જાન્યુઆરી, 2025ની સ્થિતિ મુજબ, ખાનગી હૉસ્પિટલોના કુલ 562 કરોડના 2.37 લાખ ક્લેમ રિજેક્ટ થયા હતા. જેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 139 કરોડ, છત્તીસગઢના 120.39 કરોડ, મધ્યપ્રદેશના 119.34 કરોડ, હરિયાણાના 45.03 કરોડ, કેરળના 34.95 કરોડ અને ગુજરાતના 31.58 કરોડના ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button