અમદાવાદ

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન: ઝાલોદના મોટીહાંડી અને પ્રાંતિજના ઝીંઝવામાં એક વોર્ડની ચૂંટણી મુલતવી

અમદાવાદ: ગુજરાત સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 27 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, રવિવારે પહેલી વાર 3,541 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાયું હતું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા 10,479 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે કતારમાં ઉભા રહ્યા હતા. રાજ્યના કેટલાક હિંસાના કેટલાક બનાવો બન્યા હોવા છતાં મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું હતું. 25 જૂને મતગણતરી પછી જ ખબર પડશે કે કયા ગામોમાં કોને સરપંચપદ અને વોર્ડ સભ્યપદનો તાજ પહેરાવવામાં આવશે.

ઝાલોદના મોટીહાંડી ગામમાં 24 જૂને ફરી મતદાન

દાહોદના ઝાલોદ તાલુકામાં આવેલ મોટીહાંડી ગામમાં મતદાન સમયે જ માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ એટલી ઉગ્ર બની કે મતદાન બંધ કરાવી દેવું પડ્યું હતું. જેના કારણે હવે અહીંયા 24 જૂને ફરી મતદાન યોજાશે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં બેલેટ પેપરમાં ભૂલ હોવાનું જણાતા વોર્ડ નંબર-2ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લામાં 110 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. કુલ 903 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં 185 સરપંચ પદ માટે અને 718 સભ્ય પદ માટે હરીફાઈ કરી રહ્યા છે. જિલ્લામાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું. યુવાઓથી લઈને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર વિવિધ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માણાવદર તાલુકાના સણોસરા ગામે ધોધમાર વરસાદ વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો અને મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે 25મેના રોજ 8,327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે પૈકી કડી અને વિસાવદર બેઠક હેઠળ આવતી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ કરાતાં આખરે 4,564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની હતી. આ દરમિયાન કુલ 751 પંચાયતો સમરસ જાહેર થઈ હતી. સમરસ પંચાયતોને બાદ કરતાં બાકીની 3,813 પંચાયતોમાંથી 271 પંચાયતોમાં આંશિક સમરસ ઉમેદવારોની પસંદગી થઇ હતી જ્યારે કેટલીક બેઠકો પર ઉમેદવારોના અભાવને કે ચૂંટણી બહિસ્કારના કારણે ચૂંટણી યોજાઈ શકી ન હતી. આમાંથી 3,541 ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. 1,023 ગ્રામ પંચાયત સભ્યોને બિનહરીફ જાહેર કરાયા હતા.

ચૂંટણીપંચે 3,939 મતદાન મથકોને સંવેદનશીલ અને 336ને અતિ સંવેદનશીલ જાહેર કર્યા હતાં. રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) એ જણાવ્યું હતું કે, 81 લાખ મતદારોએ 3,656 સરપંચો અને 16,224 પંચાયત સભ્યોને ચૂંટવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો…વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લાની 224 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button