અમદાવાદ

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલ

રથયાત્રા અંગે પણ નાગરિકોને કર્યો મહત્ત્વનો અનુરોધ

અમદાવાદ: ભાજપની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે પત્રકર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલે કોરોનાના વધતાં કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈ લોકોને અપીલ કરી હતી.

કોરોનાના લક્ષણ હોય તો રથયાત્રામાં જવાનું ટાળવું

પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈને લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે લોકોમાં કોરોનાના સામાન્ય લક્ષણ દેખાતા હોય તેમણે રથયાત્રામાં જવાનું ટાળવું જોઇએ. શરદી શરદી ખાંસીના લક્ષણો ધરાવનારા, કોમોર્બિડ દર્દી અને વૃદ્ધોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ. આવા લોકોએ ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ જેથી અન્ય લોકોને ચેપ ન લાગે તેમજ કોમોર્બિડ દર્દીને કોઇ નુકસાન ન થાય.

આ પત્રકાર પરિષદમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહાનગર કાર્યાલય ખાતે “સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ”ની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ, પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈન, મહાનગરના મહામંત્રી જીતુ પટેલ, ભુષણ ભટ્ટ તેમજ પરેશ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઇ

ઉલ્લેખનીય છે કે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન જગન્નાથજીનો જળયાત્રાનો પ્રારંભ નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા સાથે થયો હતો. જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન જગન્નાથની જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ હતી. તેમજ 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. તેની બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતો મહંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો…કોરોના સામે વડાપ્રધાન મોદીની સુરક્ષા વધારાઈ; હવે પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button