અમદાવાદના નરોડામાં ગટરના ઉભરાતા પાણીથી ત્રાહિમામ: ધારાસભ્યનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો…

છેલ્લા 6 મહિનાથી સમસ્યા, રજૂઆતો છતાં ધ્યાન ન અપાતા અનસુયા નગર, બીડી કામદારનગર સહિતના લોકોએ કર્યો ઉગ્ર વિરોધ
અમદાવાદઃ શહેરના નરોડા વિધાનસભામાં સરદારનગર વોર્ડમાં નોબલનગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે. આ મુદ્દે સ્થાનિકોએ નરોડાના ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીની ઓફિસે વિરોધ કર્યો હતો.
શહેરના નોબલનગર વિસ્તારમાં આવેલા અનસુયા નગર, બીડી કામદારનગર, વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો ઘેરાવ કર્યો હતો. છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં અનેક વખત રજૂઆતો છતાં પણ કોર્પોરેટર અને ઉત્તર ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન ના આપવામાં આવતા સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. ભાજપના ધારાસભ્યની ઓફિસે લોકોએ પહોંચી અને ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે શનિવારે ડ્રેનેજની ફરિયાદ આવી હતી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ રવિવારની રજા હોવાથી આજે સોમવારે સવારથી કામગીરી શરૂ કરી છે પરંતુ ત્યાં કોંગ્રેસના કેટલાક લોકો છે અને સ્થાનિક લોકોને ભેગા કરી અને તેમના પોતાના માણસોને બોલાવી અને ઓફિસની બહાર વિરોધ કર્યો હતો અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત થઈ ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે આજે સવારથી કામગીરી ત્યાં ચાલુ કરી દીધી છે. સ્ટ્રેટેજી પૂર્વક કરવામાં આવી રહ્યું છે.
લોકોએ ભાજપના ધારાસભ્યને બહાર બોલાવી અને તેમને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે પ્રાથમિક સુવિધા ની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ દર વખતે અમે રજૂઆત કરવા જઈએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અધિકારીઓ ધક્કા ખવડાવે છે.
અમારા છોકરાઓ બીમાર થઈ જાય છે. ગટરો ઉભરાય છે અને જીવાતો પણ થાય છે તેના કારણે લોકો વધારે બીમાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘરોમાં પાણી જતા રહે છે. જેથી રહેવું ખાવું પીવું કેવી રીતે અમારે ખબર નથી પડતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો સામે અવારનવાર વિરોધ દર્શાવવામાં આવે છે, તેમ છતાં પણ ભાજપના શહેરના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ ગંભીરતાથી નોંધ લેવામાં ન આવતા પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.