
અમદાવાદઃ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના પ્રધાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા યુવાનના હાલચાલ પૂછ્યા હતા. તેમજ ઘટના અંગે માહિતી મેળવી હતી.
કેન્દ્ર સરકારને દુર્ઘટનાના 10 મિનિટની અંદર માહિતી મળી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, આજે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171 ક્રેશ થઈ હતી. આખો દેશ શોકમાં છે અને શોકગ્રસ્ત પરિવારોની સાથે ઊભો છે. કેન્દ્ર સરકારને દુર્ઘટનાના 10 મિનિટની અંદર માહિતી મળી. મેં ગુજરાતના મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અને નાગરિક ઉડ્ડયન પ્રધાનનો સંપર્ક કર્યો. વડા પ્રધાને પણ તરત જ ફોન કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. એક વ્યક્તિ બચી ગયો હતો. ડીએનએ વેરિફિકેશન પછી મૃત્યુઆંક જાહેર કરવામાં આવશે. હું એક બચી ગયેલા વ્યક્તિને મળ્યો હતો. દરેક વિભાગ સંકલનમાં બચાવ કામગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત…
ડીએનએ ટેસ્ટ પછી મૃતદેહો સોંપાશેઃ અમિત શાહ
વિમાનમાં લગભગ 1,25,000 લિટર ઇંધણ હતું, અને ઊંચા તાપમાનને કારણે કોઈને બચાવવાનો કોઈ અવકાશ નહોતો. મેં ક્રેશ સાઇટની મુલાકાત લીધી. મૃતદેહોને બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. વિદેશમાં રહેતા પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. લગભગ 1000 ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.મૃતદેહોના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.ડીએનએ ટેસ્ટ પછી મૃતદેહો સોંપવામાં આવશે. સમીક્ષા બેઠકમાં દરેક પાસાની ચર્ચા કરવામાં આવી. ઉડ્ડયન મંત્રીએ તપાસ ઝડપથી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.