
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૨ જૂન સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા પર મેઘરાજા મહેરબાન થઈ ગયા હતા, બનાસકાંઠાના અમીરગઢમાં ૫ ઇંચ સાથે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મેઘાની મહેર જોવા મળી હતી.
રાજ્યના ૧૪૭ તાલુકામાં વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૨ જૂન સાંજે ૬ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાના કાલાવડમાં ૪.૩૩ ઇંચ, જુનાગઢ જિલ્લાના કેશોદ ૩.૮૨ ઇંચ, માણાવદરમાં 3.66, પોરબંદર જિલ્લાના કુતીયાણામાં 3.58, રાજકોટ જિલ્લાના પડધરીમાં 3.54, જામનગર જોડિયામાં અને વલસાડના કપરાડામાં 2.8 ઇંચ, જુનાગઢના મેંદરડામાં 2.76 ઇંચ, જામનગર જિલ્લાના જામ જોધપુરમાં 2.4 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 2.13 ઇંચ, ઉમરપાડામાં 1.97 ઇંચ, રાજકોટના જેતપુરમાં ૧.૯૩ ઇંચ તેમજ સુરતના કામરેજમાં ૧.૮૫ વરસાદ પડ્યો હતો.
૩૫ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. રાજ્યના ૩૫ તાલુકાઓમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ, જામનગર, સુરત, નવસારી, બનાસકાંઠા તેમજ વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ-ઇકબાલગઢ પંથકમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. ઇકબાલગઢ, ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી અને ગોળીયા ડેરી જેવા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી. ભારે વરસાદને પગલે ઇકબાલગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, સાબરકાંઠાના ઇડર અને વડાલીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઘઉંવાવ નદીમાં પૂર આવ્યું હતું. ઇડરનું નયનરમ્ય રાણી તળાવ પણ પ્રથમ વરસાદમાં જ મહદઅંશે ભરાઈ જતા સુંદર દૃશ્યો સર્જાયા હતા.
આંબાઘાટમાં પહાડો પરથી પથ્થરો પડતા હાઈ-વે બંધ
આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ૭ જિલ્લામાં રેડ એલર્ટ અને ૨૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદના કારણે આંબાઘાટમાં પહાડો પરથી પથ્થરો ખસકીને હાઈવે પર પડતા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. દાંતા ડિઝાસ્ટર ટીમ અને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી વડે પથ્થરો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પાલનપુર તાલુકાના ગોળા ગામે વીજળી પડવાથી 4 પશુઓના મોત નીપજ્યા હતા, જ્યારે અમીરગઢની કલેડી નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી, તેના પ્રવાહ અને ઉપરવાસમાં પડેલા વરસાદથી જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા હતા.
આ પણ વાંચો…ગુજરાતના 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ વિગત…