રાહતઃ રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીનો રસ્તો મનપા પહોળો કરશે

અમદાવાદઃ મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાના ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરશે જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય. રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ રસ્તો હાલના 15 મીટરથી વધારી 25 મીટર પહોળો કરવામાં આવશે.
આ રસ્તો શહેરના પૂર્વ ભાગના મહત્વના માર્ગોમાંનો એક છે. અહીં પિક અવર્સમાં વાહનોની લાંબી કતારો હોય છે. સારંગપુર બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી સમસ્યા વધી છે, જેના કારણે રહેવાસીઓને શહેરના પશ્ચિમ ભાગો તરફ જવા માટે ખોખરા બ્રિજનો ઉપયોગ કરવો પડે છે.
તાજેતરમાં જ અહીં ફિલ્મફેર યોજાયો હતો. આ સાથે કાંકરિયા ખાતે પર્યટકો આવતા રહે છે અને અલગ અલગ ઉજવણીઓ પણ થતી રહે છે, તે સમયે અહીં ટ્રાફિકનો ધસારો ખૂબ જ રહે છે.
મનપાએ રસ્તો પહોળો કરવાની યોજના અંગે વાંધાઓ માટે જાહેર નોટિસ જારી કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ વાંધો મળ્યો નથી. સેન્ટ્રલ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે સાત રહેણાંક અને 31 કોમર્શિયલ મિલકતોને અસર થશે. એક ધાર્મિક માળખું અને એક જાહેર શૌચાલય પણ દૂર કરવામાં આવશે. મિલકત માલિકોને નિયમો મુજબ વળતર આપવામાં આવશે. મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.



