અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એર ઈન્ડિયાએ વધારાના રૂપિયા 25 લાખની સહાય જાહેર કરી, હવે મૃતકોના પરિવારને મળશે આટલી રકમ…

અમદાવાદઃ એર ઈન્ડિયા અને તેની પેરેન્ટ કંપની ટાટા ગ્રુપ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 1.25 કરોડની મદદ કરશે. જેમાં એક કરોડ ટાટા સન્સ અને 25 લાખ એરલાઈન્સ તરફથી આપવામાં આવશે. એ ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પર મુકેલી એક પોસ્ટમાં આની પુષ્ટિ કરી હતી.
એર ઈન્ડિયાએ લખ્યું, એર ઇન્ડિયા મૃતકોના પરિવારો અને જીવિત બચેલા વ્યક્તિને વળતર આપશે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તેમનો તબીબી ખર્ચ સંપૂર્ણપણે આવરી લેવામાં આવશે.
એર ઈન્ડિયાના સીઈઓએ શું કહ્યું
એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને તપાસમાં એર ઇન્ડિયાના સંપૂર્ણ સહયોગ અને પીડિત પરિવારોને લાંબા ગાળાના સમર્થનનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું, અમે જાણીએ છીએ કે તપાસમાં સમય લાગશે, પરંતુ અમે સંપૂર્ણ પારદર્શક રહીશું જ્યારે પણ જરૂર પડશે ત્યાં સુધી પ્રક્રિયાને સમર્થન આપીશું. એર ઇન્ડિયા આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોની સંભાળ રાખવા અને અમારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું કરવાનું ચાલુ રાખશે.
અમદાવાદથી બોલતા એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું, એર ઇન્ડિયામાં અમે બધા આ નુકસાનથી ખૂબ જ દુઃખી છીએ અને અસરગ્રસ્ત પરિવારો અને તેમના પ્રિયજનો માટે શોક વ્યક્ત કરીએ છીએ. આ અકસ્માતમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન સામેલ હતું અને તે ગુરુવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ બન્યો હતો. વિમાને 650 ફૂટની ઊંચાઈએ કાબૂ ગુમાવ્યો અને બી જે મેડિકલ કોલેજ પરિસરમાં તૂટી પડ્યું હતું.