અમદાવાદ

અમદાવાદમાં SIRમાં શું ચોંકાવનારી વિગત આવી સામે?

અમદાવાદઃ જિલ્લાના 21 વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 62.59 લાખ જેટલા મતદારો આવેલા છે. તે પૈકી 6 ડિસેમ્બર, 2025ની સવાર સુધીમાં 62.46 લાખ જેટલા મતદારોને મતદાર ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જે કુલ સંખ્યાના 99 ટકા કરતાં વધુ છે. કુલ 46.95 લાખ જેટલા ઇલેક્શન ફોર્મ ડિજિટાઇઝ કરી દેવાયા છે. જે કુલ મતદારોના 75.01 ટકા જેટલું થવા જાય છે. બુથ લેવલ ઓફિસર દ્વારા 46.93 લાખ ફોર્મ વેરીફાઈ કરાયા છે.

કેટલા લોકોના મૃત્યુ ?

અમદાવાદમાંથી જે ફોર્મ પરત મળ્યા નથી, તેના આંકડાઓ જોઈએ તો મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2.35 લાખ જેટલી થવા જાય છે જે મળી આવ્યા નથી અથવા ગેરહાજર છે, તેવા લોકોની સંખ્યા 1.17 લાખ જેટલી થવા જાય છે. 5.67 લાખ જેટલા લોકો સ્થાનાંતરણ કરી ગયા છે. આ તમામ આંકડા ગણવામાં આવે તો કુલ ડિજિટાઇઝ ફોર્મની સંખ્યા 90 ટકાથી વધુ થાય છે.

આ પણ વાંચો : SIRમાં સમસ્યાઓ, ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોને શું કરી વિનંતી?

શહેરના વિસ્તારમાં સૌથી વધુ મતદારો

સૌથી વધુ મતદારો ઘાટલોડિયા મતવિસ્તારમાં 4.62 લાખ જેટલા નોંધાયેલા છે. જ્યાં 100 ટકા જેટલી ફોર્મ વિતરણની કામગીરી થઈ ચૂકી છે અને 84 ટકા જેટલા ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. જ્યારે અસારવા વિધાનસભા મત ક્ષેત્રમાં સૌથી ઓછા મતદારો 2.14 લાખ જેટલા આવેલા છે. જ્યાં 99 ટકા જેટલું ફોર્મ વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને 80 ટકા જેટલા ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. વિરમગામ દસ્ક્રોઇ ધંધુકા અને ધોળકામાં 99 ટકા કરતાં વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : SIR મુદ્દે મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નહી આવે

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે, બૂથ લેવલ ઓફિસરની મદદ માટે 30 હજારથી વધુ સ્વંયસેવકની નિયુક્તિ કરવામાં આવી છે.

ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાન સતત ચાલુ રહેશે

મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને આ કારણે તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવે નહીં તો તેઓ ફોર્મ નંબર-6 ભરીને 15 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર નોંધણી અધિકારીને આપવાનું રહેશે. મતદાર નોંધણી અધિકારી દ્વારા ફોર્મ મંજૂર થયા બાદ તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે. આવા મતદારોના નામનો સમાવેશ સરની કામગીરી બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, આગામી તબક્કામાં બીએલઓની ભૂમિકા મહત્ત્વની રહેશે. નવેમ્બરમાં 6 દિવસ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button