
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ૧૪૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમ જ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની વિગતો મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને એલર્ટ કરાયું
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. A.I.ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબૂમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાળ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.

૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડેપગે રહેશે
રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેશે.

કમિશનરના નેતૃત્વમાં ૧,૦૦૦ જવાન તૈનાત રહેશે
મુખ્ય પ્રધાન સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧,૦૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

૧૬ કિ.મી.ના રૂટ પર પોલીસ કંટ્રોલરૂમ બાજ નજર રાખશે
પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે ૨૨૭ કેમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત ૨૪૦ ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.

યાત્રાના રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો ઊભા કરાશે
રથયાત્રાના રૂટ પર આવેલી ૪૮૪ જેટલી જુની અને જર્જરિત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે નહીં કરે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સૂચક બોર્ડ તેમ જ પતરાની આડશો મૂકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે.