Ahmedabad માં થયેલી રહસ્યમય હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો , પાંચ આરોપીની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં થયેલી રહસ્યમય હત્યા કેસને પોલીસે ઉકેલ્યો છે. જેમાં ચાંદલોડિયા વિસ્તારમાં બે પડોશી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આ વિવાદ ઉકેલવાના બહાને પાંચ લોકોએ મળીને એક યુવાનને બોલાવીને તેની હત્યા કરી અને તેના મૃતદેહને ખેતરમાં દાટી દીધો હતો. જેમાં પોલીસે કેસ ઉકેલી નાખ્યો અને હત્યામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી હતી.
સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કમલેશ તિવારી તેમની પત્ની પ્રતિમા અને બાળકો સાથે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં રહેતા હતા. તેમના પાડોશમાં મહાવીર શાહ તેમની પત્ની જાગૃતિ સાથે રહેતા હતા. આ બંને પડોશીઓ વચ્ચે થોડા સમય માટે ટેપ વગાડવા અને ઘરની નજીક પાણી રેડવા જેવા મુદ્દાઓ પર વિવાદ થયો હતો. આ દરમિયાન 18 ફેબ્રુઆરીના રોજ કમલેશ તિવારી કામ માટે ઘરની બહાર ગયા હતા, પરંતુ તે પછી પાછા ફર્યા નહીં.ત્યારે કમલેશની પત્ની પ્રતિમાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પ્રતિમાએ પોલીસને તેના પાડોશી મહાવીર શાહ સાથે ચાલી રહેલા વિવાદ વિશે પણ જણાવ્યું. આ પછી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી.
સમાધાન કરવા માટે કમલેશને ફોન કર્યો હતો
આ હત્યા કેસ અંગે માહિતી આપતાં એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મૃતક કમલેશ તિવારીની પત્નીની ફરિયાદના આધારે, અમે મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમના મોબાઇલ ફોનનો ડેટા શોધવામાં આવ્યો હતો. મહાવીરની છેલ્લી ફોન વાતચીત ઋષભ સાબરિયા સાથે થઈ હતી. જે મૃતક કમલેશનો મિત્ર પણ હતો. પોલીસે ઋષભની પૂછપરછ શરૂ કરી. જેના પછી ચોંકાવનારી હકીકત સામે આવી. ઋષભે જણાવ્યું કે તેણે મહાવીર શાહ સાથે સમાધાન કરવા માટે કમલેશને ફોન કર્યો હતો.
કમલેશને ઝાડ સાથે બાંધીને લાકડીથી માર મારવામાં આવ્યો
એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કમલેશ ત્યાં પહોંચ્યો ત્યારે ઋષભ અને સુનીલ ઠાકોર તેને અતુલ પટેલના ખેતરમાં લઈ ગયા. મહાવીર તેની પત્ની જાગૃતિ સાથે તે જ ખેતરમાં પહોંચ્યા. આ પછી મહાવીર અને અતુલે ખેતરમાં રહેતા ગમનારામને બોલાવ્યા. ત્યારબાદ કમલેશને ઝાડ સાથે બાંધીને લાકડીથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ હુમલામાં કમલેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે આ હત્યા છુપાવવા માટે મહાવીર 20 કિલો મીઠું લાવ્યો અને બધા આરોપીઓ સાથે તે જ ખેતરમાં લાશ દાટી દીધી.ત્યારે પોલીસ સમક્ષ આ સત્ય બહાર આવ્યા પછી કમલેશના મૃતદેહને ખેતરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
ઋષભ અને સુનીલ ત્યાંથી ભાગી ગયા
ઋષભ મૃતક કમલેશ અને મહાવીર બંનેનો મિત્ર હતો. તેમની વચ્ચેના વિવાદનો અંત લાવવા માટે, તેણે સમાધાનના બહાને બંનેને બોલાવ્યા હતા. આ દરમિયાન સુનિલ પણ હાજર હતો. પરંતુ જ્યારે મહાવીર, તેની પત્ની જાગૃતિ, અતુલ અને ગમનારામ સાથે મળીને કમલેશને માર માર્યો અને તેનું મોત નીપજ્યું, ત્યારે ઋષભ અને સુનીલ ત્યાંથી ભાગી ગયા. બંનેએ હત્યાની હકીકત છુપાવી.
હાલમાં, અમદાવાદની સોલા પોલીસે કમલેશ તિવારીની હત્યા અને મૃતદેહને ખેતરમાં દાટી દેવાના કેસમાં મહાવીર શાહ, જાગૃતિ શાહ, અતુલ પટેલ, ઋષભ સાબરિયા અને સુનીલ ઠાકોરની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.