
અમદાવાદ શહેરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 242 લોકોના મોત થયા હતા. જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતા. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો હતા. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. આ ઉપરાંત નંદ કાર્ગો મોટર્સના માલિક નેહા નંદા, લુબી પંપ્સના સુભાષચંદ્ર અમીન, રાજપથ ક્લબના ડાયરેક્ટર દિલીપ પટેલ જેવા જાણીતા લોકો પણ હતા.
‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં, સ્થાનિકોએ ભયાવહ દ્રશ્યો વર્ણવ્યા હતા. એક નાની બાળકીએ પ્લેનને સળગતું ઉડતા જોયું અને સીધું જ હોસ્ટેલ બિલ્ડિંગ તરફ અથડાતા ગભરાઈ ગઈ હતી. આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર, તેમને જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય કે મિસાઈલ પડી હોય તેવો અનુભવ થયો હતો.
અકસ્માત અંગે માહિતી આપતા એર ઇન્ડિયાએ કહ્યું કે અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર એઆઈ171 ક્રેશ થઈ હતી. તેમાં 242 મુસાફરો હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, પ્લેન 1:30 ટેકઓફ થયું હતું. ટેકઓફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યું હતું. પ્લેને ઉડાણ બાદ માત્ર 8 મિનિટમાં જ સિગ્નલ ગુમાવ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું.
આ પણ વાંચો - અમદાવાદમાં પ્લેન અકસ્માતમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનું નિધન
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.