વિજય રૂપાણીના ડીએનએ હજુ નથી થયા મેચ, રાજકોટમાં અંતિમ વિધિની તૈયારી…

અમદાવાદઃ શહેર માટે ગુરુવારનો દિવસ ગોજારો સાબિત થયો હતો. અમદાવાર એરપોર્ટ પરથી ઉડાન ભરેલું એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો મળી કુલ 242 લોકો હતા. જેમાંથી એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.
વિવિધ રિપોર્ટ પ્રમાણે, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલ હજુ સુધી મેચ થયા નથી. જોકે તેમની અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પાર્થિવ શરીર રાજકોટ લાવવામાં આવશે તેમ કહેવાય છે. ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, પાર્થિવ શરીરને ગ્રીનલેન્ડ ચોકડીથી વિજય રૂપાણીના નિવાસ સ્થાન સુધી લઈ જવાશે.
રાજુભાઈ ધ્રુવે અંતિમ યાત્રાના રૂટની જાણકારી આપતાં કહ્યું, વિજય રૂપાણીના નિવાસ સ્થાનથી નીકળીને નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડીએચ કોલેજ, માલવીયા ચોક, કોર્પોરેશન ચોક, સાંગણવા ચોક, ભૂપેન્દ્ર રોડ થઈને અંતિમ ધામ સુધી પહોંચશે.
ભાજપ પ્રવક્તાએ કહ્યું, વિજય રૂપાણીની રાજકોટ સાથે ઘણી યાદો જોડાયેલી છે. રાજકોટ દેશના અગ્રણી શહેરોમાં આવે છે તેનો શ્રેય વિજય રૂપાણીને જાય છે. એઈમ્સ, અટલ સરોવર, ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિજય રૂપાણીની દેણ છે. વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા તે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે દુ:ખની વાત છે.
આપણ વાંચો : સંઘ પ્રચારકથી લઈને લગ્ન સુધી, વિજય રૂપાણી અને અંજલીબેનની અનોખી પ્રેમ કહાની…