અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એરલાઈન ઓફિસમાં યોજાયેલી પાર્ટીનો વિડીયો વાયરલ, ચાર અધિકારી સસ્પેન્ડ

અમદાવાદ : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા બાદ એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ( AISATS)ની ગુડગાંવ ઓફિસમાં યોજાયેલી પાર્ટીનો વીડિયો પ્રકાશમાં આવવા વિવાદ સર્જાયો છે. આ પાર્ટી એવા સમયે થઈ હતી જ્યારે એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપ ગુજરાત વિમાનઅકસ્માતનો શોક મનાવી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ ટાટા ગ્રુપ અને એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એ આકરી પ્રતિક્રિયા આપી અને ચાર વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને બે સિનીયર વાઇસ પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થાય છે.
આ પાર્ટી કર્મચારીઓની સંવેદનશીલતા પર સવાલો ઉભા કર્યા
એરપોર્ટ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ એર ઈન્ડિયાનું એક સંયુક્ત સાહસ છે. જેનો કરાર ટાટા ગ્રુપ અને SATS લિમિટેડ (સિંગાપોર એરપોર્ટ ટર્મિનલ સર્વિસીસ) વચ્ચે છે. તે ભારતમાં એરલાઈન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કેટરિંગ અને અન્ય મુસાફરો સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પછી જ AISATS ની ઓફિસમાં યોજાયેલી આ પાર્ટી કર્મચારીઓની સંવેદનશીલતા પર સવાલો ઉભા કર્યા છે.
આ વર્તન અમારા મૂલ્યો સાથે સુસંગત નથી : એર ઈન્ડિયા
AISATS દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો સાથે છીએ. તેમજ આ આંતરિક વિડીયોમાં જોવા મળતી ભૂલ બદલ દિલગીર છીએ. આ વર્તન અમારા મૂલ્યો સાથે સુસંગત નથી અને જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.
સત્તાવાર રીતે કુલ 260 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી સત્તાવાર રીતે કુલ 260 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં વિમાનમાં સવાર કુલ 242 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનો જીવ બચ્યો છે. જ્યારે એર ઈન્ડિયાએ દરેક મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.