અમદાવાદ

સિવિલ હોસ્પિટલની ચેતવણી: પ્લેન ક્રેશના મૃતદેહ માટે પૈસા માંગે તો ફ્રોડ!

પ્લેનક્રેશના પીડિત પરિવારો છેતરપિંડીના ભોગ બને નહીં તેના માટે હોસ્પિટલની સ્પષ્ટતા

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી પીડિત પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓમાં પસાર થઈ રહ્યા છે ત્યારે આ પળોમાં કોઈ છેતરપિંડીનો ભોગ બને નહીં તેના માટે હોસ્પિટલ પ્રશાસન તરફથી મહત્ત્વની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, જાણીએ હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ શું કહ્યું છે.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોના પરિવારજનોને છેતરપિંડીથી સાવધ રહેવા માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દુઃખની આ ઘડીમાં કેટલાક તકસાધુ તત્વો પરિવારોની મજબૂરીનો લાભ ઉઠાવીને છેતરપિંડીનો પ્રયાસ કરી શકે છે.

હોસ્પિટલમાં અપાતી તમામ સેવાઓ નિઃશુલ્ક

ડૉ. રજનીશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, “અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ ગુજરાત સરકારનું એકમ છે અને અહીં દર્દીઓને અપાતી તમામ આરોગ્ય સુવિધાઓ તેમજ અન્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હાલમાં ચાલી રહેલી મૃત દેહ સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈપણ કામગીરી માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલવામાં આવતી નથી.”

પૈસાની માંગણી કરે, તો તે ફોન ફ્રોડ સમજજો!

તેમણે પરિવારોને ચેતવણી આપતા ઉમેર્યું કે, “જો કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરીને હોસ્પિટલના નામે મૃતદેહ સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા, કોઈ સુવિધા આપવા કે અન્ય કોઈ કારણોસર પૈસાની માંગણી કરે તો તે ફોન કોલ સંપૂર્ણપણે ફ્રોડ અને બોગસ સમજવો. આવા લેભાગુ તત્વોથી સાવચેત રહેવા તમામ પરિવારોને અમારી નમ્ર અપીલ છે.

આ પણ વાંચો -‏‏‎ પૂર્વ CM રૂપાણીના નિધનને લઈ આવતીકાલે રાજ્યવ્યાપી શોક, રાજકીય સન્માન સાથે રાજકોટમાં થશે અંતિમસંસ્કાર

ખરી પ્રક્રિયા મુજબ સિવિલ હોસ્પિટલના અધિકૃત કર્મચારીઓ દ્વારા જ નીચે જણાવેલા અધિકૃત મોબાઇલ નંબરો પરથી જ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયામાં નિઃશુલ્ક મદદ કરવામાં આવશે.

તેમણે તમામ પરિવારોને વિનંતી કરી હતી કે માત્ર અધિકૃત નંબરો પરથી આવતા ફોન કોલને જ ધ્યાને લે અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર ન કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button