
અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. આ ઘટનાએ શહેરમાં હડકંપ મચાવી દીધો છે અને 1988ની ભયંકર વિમાન દુર્ઘટનાની યાદો તાજી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં અનેકના મોત થયાની શંકા છે, અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
આ દુર્ઘટના મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક બની, જ્યાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, રજિસ્ટ્રેશન VT-ANB, ટેકઓફ બાદ થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 2 પાયલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. ડીજીસીએના જણાવ્યા મુજબ વિમાન 191 મીટરની ઊંચાઈએ 322 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું જ્યારે તેણે મેડે કોલ જારી કર્યો, જે ગંભીર કટોકટીનો સંકેત આપે છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ જુઓ મુસાફરોનું લિસ્ટ
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 7 ગાડી, પોલીસ, BSF અને NDRFની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ ઓલવવા અને બચાવ કાર્ય માટે તીવ્ર પ્રયાસો ચાલુ છે. દુર્ઘટના સ્થળે વિમાનનો કાટમાળ ચારે બાજુ ફેલાયેલો જોવા મળ્યો, અને આસપાસની કેટલીક કારો પણ સળગી ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સારવાર અને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ NDRF અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તપાસ શરૂ કરવામાં આવી છે