
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ઘટનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે અને ઘટનાની વિસ્તૃત માહિતી મેળવશે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને ચાલી રહેલી બચાવ કામગીરીની વિગતો મેળવી હતી અને ઝડપી તથા અસરકારક રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. આજે સાંજે તેમણે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરપુ, નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલ, અને ગુજરાતના રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર હતા. દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ જીવતો બચી ગયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેની સાથે મુલાકાત કરીને ખબર અંતર પૂછી હતી.
આ પણ વાંચો - પ્લેન ક્રેશ મુદ્દે હવે ઈન્ટરનેશનલ નિષ્ણાતે આપ્યું ચોંકાવનારું નિવેદન
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને ચાલી રહેલી બચાવ કામગીરીની વિગતો મેળવી હતી અને ઝડપી તથા અસરકારક રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.