અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: ઇમરજન્સી પાવર સિસ્ટમ ઓન હતી? તપાસમાં નવો ખુલાસો

અમદાવાદ: 12 જૂને અમદાવાદના મેઘાણીનગરમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશની તપાસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમને શંકા છે કે જ્યારે એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ક્રેશ થયું ત્યારે તેની ઇમરજન્સી પાવર સિસ્ટમ (Emergency Power System) ચાલુ હતી. આનાથી સવાલ ઊભા થાય છે કે શું ટેક-ઓફ સમયે વિમાનના બંને એન્જિન ખરાબ થઈ ગયા હતા કે પછી કોઈ અન્ય સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.

મીડિયાનો ખુલાસો RAT સક્રિય હોવાની શક્યતા

વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી એક ટીમ દ્વારા વોલ સ્ટ્રીટ જર્નલે આ ખુલાસો કર્યો છે. આ દુર્ઘટનામાં આશરે 270 જેટલા લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના તબીબી વિદ્યાર્થીઓ અને અન્ય લોકો આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી વાત ઇમરજન્સી પાવર સિસ્ટમનું ઓન હોવું છે. મીડિયાના અહેવાલ પર બોઇંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો: પહલગામ હુમલાથી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ સાત સમંદર પાર કરીને બીમાર માને મળવા આવેલી દીકરી પરત ફરી નહીં…

ઇમરજન્સી પાવર સિસ્ટમ (RAT) શું છે?

દરેક વિમાનમાં એક ઇમરજન્સી પાવર સિસ્ટમ હોય છે, જેને રૅમ એર ટર્બાઇન (Ram Air Turbine – RAT) કહેવાય છે. આ એક નાનો પ્રોપેલર હોય છે, જે બોઇંગ 787 ડ્રીમલાઇનના પાંખોની બિલકુલ નીચે હોય છે. તે વિમાન માટે બેકઅપ અને જનરેટરનું કામ કરે છે. જોકે, તેની જરૂર ત્યારે જ પડે છે જ્યારે એન્જિન કામ ન કરી રહ્યા હોય. જો એન્જિન બરાબર કામ કરી રહ્યા હોય, તો વીજળી બનાવવાની જવાબદારી તેમની હોય છે, જેથી વિમાન સરળતાથી મુસાફરી પૂરી કરી શકે.

શું RAT સક્રિય હતું?

આ અંગે નિષ્ણાતો તેની શક્યતાને નકારી રહ્યા નથી. તેઓએ જણાવ્યું હતું કે વિમાનમાં જે મુસાફર વિશ્વાસ કુમાર બચ્યા હતા, તેમણે કહ્યું હતું કે પ્લેને પહેલા ઉડાન ભરી, પછી તે વચ્ચે રોકાઈ ગયું હતું. આ પછી પ્લેન નીચે આવવાનું શરૂ થયું અને જોરદાર અવાજ આવવા લાગ્યો. જો આને કોરીલેટ કરીએ તો સમજાય છે કે તે સમયે RAT સક્રિય થઈ ચૂક્યું હતું. તેઓ કહે છે કે જ્યારે પ્લેને ટેક-ઓફ કર્યું, તે ઉપર ઊઠ્યું પણ તેના પૈડાં ઉપર કરવામાં આવ્યા નહોતા, જ્યારે સામાન્ય રીતે આવું કરી દેવામાં આવે છે. તેનો અર્થ છે કે અચાનક કોઈ ખામી આવી હતી. જો ત્યાં કોઈ ખુલ્લું મેદાન હોત તો પ્લેન લેન્ડ થઈ જાત અને આટલું નુકસાન ન થાત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button