
અમદાવાદ/લંડનઃ 12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કુલ 260 મૃતકના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા હતા. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાયા હતા. DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકની ઓળખ થઇ હતી.
દુર્ઘટનાને લઈ બ્રિટનમાં રહેતા પરિવારજનો હવે એર ઈન્ડિયા અને બોઈંગ સામે યુકેની કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે. બ્રિટનમાં રહેતા પીડિત પરિવારો લંડનની કીસ્ટોન લો નામની કાયદા ફર્મ સાથે વાત કરી રહ્યા છે.
આ કેસ મુખ્ય રીતે વળતરની રકમ વધારવાની માંગને લઈ થઈ શકે છે. કીસ્ટોન લૉના કહેવા મુજબ, તેઓ એર ઈન્ડિયા 171 દુર્ઘટનામાં પરિવારજનો ગુમાવનારાને સલાહ આપવાની પ્રક્રિયામાં છે. સૂત્રો મુજબ આ સપ્તાહે યુકેમાં રહેતા પરિવારોની બેઠક મળશે. જેમાં કાનૂની રણનીતિ પર ચર્ચા થશે. આ બેઠક બાદ આગામી કાર્યવાહી લઈને નિર્ણય લેવામાં આવી શકે છે.
કીસ્ટોન લૉ ફર્મ પાસેથી મળતી માહિતી મુજબ, ‘અમે એર ઈન્ડિયાની મુખ્ય ઉડ્ડયન વીમા કંપની ટાટા એઆઈજી તરફથી હાલમાં કરવામાં આવેલી નાણાંકીય સેટલમેન્ટ ઓફરની સમીક્ષા કરી રહ્યા છીએ. આ સાથે જ અમે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એર ઈન્ડિયાની એ જવાબદારી વિશે પણ તપાસ કરી રહ્યા છીએ, જે હેઠળ તેમણે પીડિત પરિવારોને અગાઉથી ચુકવણી કરવાની રહેશે.
આપણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ મેસમાં વિદ્યાર્થીઓ થયા એકત્ર, કર્યા પૂજાપાઠ…