અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 90 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 33 મૃતદેહ સોંપાયા…

અમદાવાદ : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં 90 મૃતકોની ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ કરવામાં આવી છે. તેમજ 33 મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આ 33 મૃતદેહમાંથી 4 શનિવારે અને 29 રવિવારે પરિવારોને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહોના ડીએનએ નમૂનાના રિપોર્ટ સંબંધીઓ સાથે મેચ થતા સંબંધીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી રહી છે.

મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ હતી
આ પરિવારજનોને એમ્બ્યુલન્સ સાથે એક એસ્કોર્ટ વાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જેથી સંબંધીઓ સરળતાથી મૃતદેહોને તેમના ઘરે લઈ જઈ શકે. આ ઉપરાંત મૃતદેહો સાથે સંબંધીઓને મૃત્યુ પ્રમાણપત્ર, ડીએનએ નમૂના રિપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજો પણ આપવામાં આવી રહ્યા છે. 12 જૂને બનેલી આ ભયાનક દુર્ઘટનામાં ઘણા મૃતદેહો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારાઆ ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

વિમાનમાં સવાર 241 લોકોના મોત
12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર સ્થિત મેડિકલ કોલેજના કેમ્પસમાં બોઇંગ 787-8 વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા, જેમાંથી એક 40 વર્ષીય બ્રિટિશ નાગરિક બચી ગયા હતા. જ્યારે બાકીના બધા મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત દુર્ઘટના સ્થળની આસપાસ ઘણા લોકો માર્યા ગયા હતા. જેમાં પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બિન સત્તાવાર રીતે 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

આ અકસ્માત ગુરુવારે થયો હતો. મેડિકલ અધિકારીઓનું કહેવું છે કે બાકીના મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ કાર્ય ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં અન્ય મૃતદેહો પણ તેમના પરિવારોને સોંપવામાં આવશે.

ત્રણ મુસાફરોના પરિવારો વિદેશથી આવી રહ્યા
ગુજરાત રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સૂચના બાદ, સંબંધિત વિભાગો તમામ કામગીરી કરી રહ્યા છે અને મૃતદેહો પરિવારોને સોંપી રહ્યા છે. મૃત્યુ પ્રમાણપત્રો જાહેર કરીને તેમને સોંપવામાં આવ્યા છે. પરિવારોને વીમા દાવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે 22 ટીમો બનાવવામાં આવી છે. 230 મુસાફરોના તમામ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ત્રણ મુસાફરોના પરિવારો વિદેશથી આવી રહ્યા છે.

હોસ્પિટલ વિસ્તારમાં સાત આઇપીએસ અધિકારીઓ હાજર
આ દરમિયાન, પોલીસ અધિકારી જયપાલજીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ વિસ્તારમાં 7 આઇપીએસ અધિકારીઓ હાજર છે અને 24 કલાક પોલીસ ફરજ પર હાજર છે.

પરિવારોને જાણ કરવામાં આવી હતી
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ મળેલા તમામ મૃતદેહોમાંથી 90 ના ડીએનએ મેચ થયા છે. આ પરિવારોને જાણ કરવામાં આવી છે. દરેક મૃતદેહને એક ટીમ દ્વારા ઘરે પહોંચાડાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button