
અમદાવાદ: શહેરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દુર્ઘટનાના કુલ ૨૫૯ મૃતકોની ઓળખ સફળતાપૂર્વક થઈ ચૂકી છે. આમાંથી ૨૫૩ મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ છે, જ્યારે ૬ મૃતકોની ઓળખ ચહેરા પરથી કરવામાં આવી હતી. ઓળખાયેલા કુલ મૃતકોમાંથી ૨૫૬ પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
૨૫૯ મૃતકોમાં ૧૮૦ ભારતના નાગરિકો
ડો. રાકેશ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓળખ પામેલા ૨૫૯ મૃતકોમાં ૧૮૦ ભારતના નાગરિકો, ૭ પોર્ટુગલના, ૫૨ બ્રિટિશ નાગરિકો અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિમાન દુર્ઘટનામાં સામેલ કુલ ૧૯ નોન-પેસેન્જર (જેઓ વિમાનના મુસાફરો નહોતા) ના મૃતદેહો પણ સોંપવામાં આવ્યા છે, જેમાંથી ૧૩ની ઓળખ ડીએનએ રિપોર્ટથી અને ૬ની ઓળખ ચહેરા પરથી કરાઈ હતી.

ઓળખ પામેલા ૨૫૯ મૃતકોમાંથી ૨૫૬ મૃતદેહો સોંપી દેવાયા છે. બાકી રહેલા ૩ બ્રિટિશ નાગરિકોના મૃતદેહો આગામી સમયમાં નિયત ફ્લાઇટ દ્વારા તેમના વતન મોકલવામાં આવશે. સુપરત કરાયેલા ૨૫૬ પાર્થિવ દેહમાંથી ૨૮ હવાઈ માર્ગે (બાય એર) અને ૨૨૮ રોડ માર્ગે (બાય રોડ) તેમના ગંતવ્ય સ્થાનોએ મોકલવામાં આવ્યા હતા.
ડો. જોશીએ ઉમેર્યું કે, કુલ ૨૫૩ મૃતકોના ડીએનએ સેમ્પલ સફળતાપૂર્વક મેચ થયા છે. આમાંથી ૨૪૦ મુસાફરો (પેસેન્જર) અને ૧૩ નોન-પેસેન્જર હતા. તેમણે સ્પષ્ટતા કરી કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયામાં અમુક કિસ્સાઓમાં એકથી વધુ વાર સેમ્પલ લેવામાં આવ્યા હોય તે સ્વાભાવિક છે, તેથી લેવાયેલા કુલ ડીએનએ સેમ્પલની સંખ્યા ઓળખાયેલા કુલ મૃતકોની સંખ્યા કરતા વધુ હોઈ શકે છે.
કયાં કેટલા પાર્થિવ દેહ મોકલવામાં આવ્યા
સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ, વિવિધ શહેરો અને જિલ્લાઓમાં મોકલવામાં આવેલા પાર્થિવ દેહોની સંખ્યા આ મુજબ છે: ઉદયપુર (7), વડોદરા (24), ખેડા (11), અમદાવાદ (73), મહેસાણા (7), બોટાદ (1), જોધપુર (1), અરવલ્લી (2), આણંદ (29), ભરૂચ (7), સુરત (12), પાલનપુર (1), ગાંધીનગર (7), મહારાષ્ટ્ર (13), દીવ (14), જૂનાગઢ (1), અમરેલી (2), ગીર સોમનાથ (5), મહીસાગર (1), ભાવનગર (3), લંડન (10), પટના (1), રાજકોટ (3), રાજસ્થાન (2), નડિયાદ (1), બનાસકાંઠા (2), જામનગર (2), પાટણ (4), દ્વારકા (2), સાબરકાંઠા (1), નાગાલેન્ડ (1), મોડાસા (1), ખંભાત (2), મણિપુર (1), કેરળ (1) અને મધ્યપ્રદેશ (1). આમ, કુલ ૨૫૬ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.