અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ પ્લેન દુર્ઘટના: અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી

અમદાવાદ: મેઘાણીનગરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. આજે સાંજે તેમણે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરપુ, નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલ, અને ગુજરાતના રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર હતા.

હાલ આ ઉચ્ચ સ્તરીય ટીમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી રહી છે. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને ચાલી રહેલી બચાવ કામગીરીની વિગતો મેળવી હતી અને ઝડપી તથા અસરકારક રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના પ્રધાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા યુવાનના હાલચાલ પૂછ્યા હતા. તેમજ ઘટના અંગે માહિતી મેળવી હતી.

કેન્દ્ર સરકારને દુર્ઘટનાના 10 મિનિટની અંદર માહિતી મળી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, આજે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171 ક્રેશ થઈ હતી. આખો દેશ શોકમાં છે અને શોકગ્રસ્ત પરિવારોની સાથે ઊભો છે. કેન્દ્ર સરકારને દુર્ઘટનાના 10 મિનિટની અંદર માહિતી મળી. મેં ગુજરાતના મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અને નાગરિક ઉડ્ડયન પ્રધાનનો સંપર્ક કર્યો. વડા પ્રધાને પણ તરત જ ફોન કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. એક વ્યક્તિ બચી ગયો હતો. ડીએનએ વેરિફિકેશન પછી મૃત્યુઆંક જાહેર કરવામાં આવશે. હું એક બચી ગયેલા વ્યક્તિને મળ્યો હતો. દરેક વિભાગ સંકલનમાં બચાવ કામગીરી કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button