અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એર ઈન્ડિયાના સીઈઓ કહ્યું- ઉડાન પહેલા એન્જિન….

અમદાવાદઃ શહેરમાં ગુરુવાર, તા. 12 જૂનના રોજ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ દુર્ઘાટનગ્રસ્ત થઈ હતી. ફ્લાઇટે ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તૂટી પડી હતી. જેમાં પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને મુસાફર મળી કુલ 242 લોકો સવાર હતા, આ પૈકી માત્ર એક વ્યક્તિનો જ ચમત્કારિક બચાવ થયો હતો. આ દરમિયાન આજે (19 જૂન) એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સારી રીતે જાળવણી કરાઇ હતી.
શું કહ્યું કેમ્પબેલ વિલ્સને?
એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સારી રીતે જાળવણી કરવામાં આવી હતી. આ વિમાનની છેલ્લી વખત સઘન તપાસ જૂન 2023માં કરવામાં આવી હતી અને આગામી તપાસ ડિસેમ્બર 2025માં થવાની હતી. યાત્રીઓને આપેલા એક સંદેશમાં, એર ઇન્ડિયાના વડાએ એમ પણ કહ્યું કે આગામી કેટલાક સપ્તાહ માટે કંપનીના મોટા વિમાનોના કાફલાના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો એક અસ્થાયી પગલું છે.
ઉડાન પહેલાં એન્જિનની તપાસ કરવામાં આવી હતી
તેમણે કહ્યું, વિમાનની સારી રીતે જાળવણી કરવામાં આવી હતી. જમણા એન્જિનનું માર્ચ 2025માં સમારકામ કરવામાં આવ્યું હતું અને ડાબા એન્જિનની તપાસ એપ્રિલ 2025માં કરવામાં આવી હતી. વિમાન અને એન્જિન બંનેની નિયમિતપણે તપાસ કરવામાં આવી હતી, જેમાં ઉડાન પહેલાં કોઈ સમસ્યા જોવા મળી ન હતી.
વિલ્સને કહ્યું કે એરલાઇન તેમજ સમગ્ર એવિએશન ઉદ્યોગ આ દુર્ઘટનાના કારણને જાણવા માટે સત્તાવાર તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. વિલ્સને કહ્યું કે આ વધારાની તપાસમાં લાગતો સમય અને ઉડાનોના સંચાલન પર સંભવિત પ્રભાવને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ 20 જૂનથી જુલાઈના મધ્ય સુધી મોટા વિમાનોવાળી પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં લગભગ 15 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું, આનાથી અમને કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે વધુ વિમાનો તૈયાર રાખવામાં મદદ મળશે. અમને લાગે છે કે અમારા ઉડાન સંચાલનમાં આ અસ્થાયી ઘટાડો તમારી યાત્રા યોજનાઓને અસર કરી શકે છે. કોઈપણ અસુવિધા માટે અમને ખૂબ જ ખેદ છે.
વિલ્સને કહ્યું કે કંપની આ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ અને આ વિમાન દુર્ઘટનાના કારણો શોધવા માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171માં ક્રૂના 12 સભ્યો સહિત 242 લોકો સવાર હતા. આ વિમાન 12 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી જ મિનિટો બાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક બી જે મેડિકલ હોસ્ટેલ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં કુલ 270 લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકો પણ સામેલ છે. ફક્ત એક યાત્રી જીવિત બચ્યો હતો.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોનો સર્વે કરવામાં આવશે તેમ ગુરુવારે એક ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનની માર્ગદર્શિકા મુજબ, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસના વિસ્તારોનો સર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. એકવાર સર્વે પૂરો થઈ ગયા પછી, જરૂરી પગલાં લેવામાં આવશે.