અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ ૨૪૭ ડીએનએ મેચ થયા, ૨૩૨ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ૨૪૭ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૨ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. ૧૫ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પરિવારો સાથે સંપર્કમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૨૪૭ મૃતકોમાં ૧૭૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૨ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. ૨૦૯ પાર્થિવ દેહોને સડક માર્ગે તથા ૨૩ પાર્થિવ દેહોને હવાઈ માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા છે એમ ડો.જોશીએ જણાવ્યું હતું.
ડો.રાકેશ જોશીએ જિલ્લા અથવા સ્થળ વાર સોંપવામાં આવેલા મૃતદેહો ની વિગતો આપી હતી. જે મુજબ ઉદયપુર ૭, વડોદરા ૨૨, ખેડા ૧૧, અમદાવાદ ૬૬, મહેસાણા ૭, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૬, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧, ગાંધીનગર ૭, મહારાષ્ટ્ર ૨, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, લંડન ૮, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૧, મુંબઈ ૧૦, નડિયાદ ૧ , જામનગર ૨, પાટણ ૨, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, ખંભાત ૨ અને પુણે ૧ ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓએ દુર્ઘટના ઘટી એ દિવસથી લઈને આજ સુધી ખડેપગે કામગીરી કરી છે.
આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 231 મૃતકોના DNA મેચ થયા, 210 મૃતદેહ સોંપાયા…