
અમદાવાદ: શહેરમાં થયેલા પ્લેનક્રેશમાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 215 એ પહોંચ્યો છે. જે પૈકી 198 પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા હતા. ડીએનએ સેમ્પલ મેચ થયા તે 198 મૃતકોમાં 149 ભારતના નાગરિક હતા. જ્યારે 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિક (યુકે), 1 કેનેડિયન તેમજ 9 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 17 વ્યક્તિના કિસ્સામાં પરિવારના અન્ય લોકો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી અન્ય વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ પાર્થિવદેહ સ્વીકારવા આવશે.
અત્યાર સુધીમાં ડીએનએ મેચ થયા હોય તેવા મૃતદેહોમાં ઉદયપુર 7, વડોદરા 20, ખેડા 11, અમદાવાદ 58, ગાંધીનગર 6, મહેસાણા 6, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 20 અને ભરૂચ 5, સુરત 11, પાટણ 1, મહારાષ્ટ્ર 2, દિવ 14, જૂનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, પટના 1, રાજકોટ 3, નડિયાદ 1, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલેન્ડ 1 વ્યક્તિના પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો - અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં થયો આટલો ઘટાડો
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મોડી જે 6 વાગ્યા સુધીના આંકડા મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓ ખડે પગે કામગીરી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.