અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઈન્ડિયાએ 275 મૃત્યુની પુષ્ટિ કરી

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ બપોરે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકો પૈકી 241ના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા આ દુર્ઘટનામાં 275 લોકોના મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાંથી 241 ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો છે, જ્યારે 34 ગ્રાઉન્ડ પરના અન્ય લોકો છે.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાના 8 મૃતકોના ડીએનએ મેચ થયા નથી, પરિવાર પાસે બીજા સેમ્પલ મંગાવાયા…
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને એર ઈન્ડિયા મહારાજા ક્લબના સભ્યોને ઇ-મેઇલ કર્યો હતો, જેમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે લોકોને જાણ કરી હતી. આ ઇમેલમાં તેમણે કબૂલાત કરી છે કે, પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા 241 લોકો અને ઓન ગ્રાઉન્ડ એટલે કે સ્થળ પરના 34 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કુલ 275 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.
જોકે, સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ડીએનએ મેચ કરીને પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ કેટલાક ઇજાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. તમામના મૃતદેહ આપ્યા બાદ તથા તમામની સારવાર પૂર્ણ થયા બાદ સ્પષ્ટ મૃત્યુઆંક જાણી શકાશે. હજુ આ આંકડો વધે તેવી પણ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગરમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રવિવાર સુધીમાં 251 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 245 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 6 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના મૃતદેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 245 મૃતકોમાં 176 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 49 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમ જ 12 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.