
અમદાવાદ : અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન જગન્નાથજીનો જળયાત્રાનો પ્રારંભ નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા સાથે થયો હતો. જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.

સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવ્યું
ભગવાન જગન્નાથની જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ હતી. તેમજ
600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. તેની બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતો મહંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભગવાન જગન્નાથની જળયાત્રામાં 10થી વધુ ભજન મંડળી જોડાઈ છે. તેમજ 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાયા છે. 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લઇને આવ્યા હતા. ભગવાન જગન્નાથજીના જળાભિષેક બાદ ભગવાને ગજવેશના દર્શન આપ્યા હતા.

ભગવાન મામાને ઘરે ગયા
ભગવાન જગન્નાથના દર્શન બાદ માન્યતા મુજબ આજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘરે જશે. તેથી મંદિરના હવે નિગ્રહના દર્શન રહેશે. જેના પગલે સરસપુર મંદિર ખાતે ભગવાનના આગમાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સરસપુરના રણછોડરાય મંદિરમાં ઉત્સાહ
જેમાં પૂનમના દિવસથી ભગવાન જગન્નાથને જમાલપુર નિજ મંદિરથી સરસપુરના રણછોડરાય મંદિરમાં રહે છે. આ દરમિયાન 11 જૂનથી 15 દિવસ સુધી સરસપુરના રણછોડરાય મંદિર ખાતે વિવિધ ભજન મંડળીઓ દ્વારા કાર્યક્રમ યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો ભાગ લેતા હોય છે.