વનતારા અમદાવાદ રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીની મદદે આવ્યું…

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ગજરાજ ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી.જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરીકેડ તોડી સીધા ખાડીયા બાલાહનુમાન તરફ ધસી જતા લોકો જીવ બચાવવા દોડતા નજરે પડયા હતા. ભાગદોડના કારણે પડી જવાથી પાંચ લોકોને વત્તાઓછા અંશે ઈજા પહોંચી હતી.
બાલાહનુમાનથી હાથી આગળ વધતા નહીં હોવાથી એમને ટવીન્કીલાઈઝર ગન દ્વારા ઈન્જેકશન અપાયા હતા. આ સમયે વધુ એક હાથી ઢીકવાચોકી ઢાળ વિસ્તારમાં ઉતરી જતા ત્યાં પણ લોકોમાં ભાગદોડ મચી હતી. છ કલાકની જહેમતના અંતે ત્રણે હાથીને રિવરફ્રન્ટના રસ્તે નીજ મંદિર પહોંચાડાયા હતા.

વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી. આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો. વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી, વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી. જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. વનતારા આ હાથીઓને લઈ ગઈ હતી તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો : અચાનક ગજરાજ શા માટે વિફરે છે અને તેમને શાંત કેવી રીતે કરશો?