
અમદાવાદ: 12 જુનના રોજ અમદવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત નીપજ્યા (Ahmadabad plane crash) છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 ક્રેશ થવા પાછળના કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કરી રહેલા અધિકારીઓને ઘટના સ્થળેથી વિમાનનું બીજું બ્લેક બોક્સ (Second black box found) મળ્યું છે.
અગાઉ અધિકારીઓને કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ મળી આવ્યું હતું. હવે આ ઘાતક દુર્ઘટના પાછળના સંભવિત કારણોની તપાસ ઝડપથી આગળ વધશે.
વડા પ્રધાનના મુખ્ય સચિવ અમદાવાદમાં:
અહેવાલ મુજબ અધિકારીઓએ બ્લેક બોક્સ મળવાની જાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાને કરી છે. પી કે મિશ્રાએ રવિવારે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ઘાયલોની સારવાર ચાલી રહેલી સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) એ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું, ” ડૉ. મિશ્રા અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની યોજાઈ હતી. આ દમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારો, AAIB અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલુ રાહત, બચાવ અને તપાસ પ્રયાસો અંગે ચર્ચા કરી.”
નિવેદન મુજબ અધિકારીઓએ ડૉ. મિશ્રાને પુષ્ટિ આપી કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) મળી આવ્યા છે અને સુરક્ષિત કરવામાં આવ્યા છે. AAIB આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી રહી છે સાથે સાથે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ ઇન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ તપાસ કરી રહ્યું છે.