ગુજરાતમાં પોક્સો કેસમાં એક જ દિવસે ફટકારાઈ 7 બળાત્કારીઓને આજીવન કેદ

અમદાવાદઃ રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુચના છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે. ગુજરાતમાં 25 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા હતાં. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો હતો.
દુષ્કર્મ-પોક્સોના જુદા-જુદા ગંભીર કેસ
અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોના જુદા-જુદા ગંભીર કેસોમાં કરવામાં આવેલી તપાસ, એકત્ર કરેલા ટેકનિકલ સહિતના પુરાવા, સરકારી વકીલની અસરકારક દલીલો અને એફએસએલ રિપોર્ટના આધારે સાત જુદા-જુદા પોક્સોના બનાવોમાં સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં અમરેલીના બે કેસોમાં આરોપી પકડ્યાના માત્ર 17 દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી.
આ પણ વાંચો…દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટની રાહત! 400 કરોડનાં કથિત ફિશરીઝ કૌભાંડમાં કોર્ટે કર્યા ચાર્જમુક્ત
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાના આ સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યુ હતું કે, પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે. પોક્સો કેસમાં 3 વર્ષમાં કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તે પૈકી 574 આજીવન કેદ અને 11ને ફાંસીની સજા કરી છે.