અમદાવાદ

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે 23 વર્ષના લગ્નજીવનનો અંત

અમદાવાદઃ કેટલાક સંપ્રદાયમાં લસણ-ડુંગળીનું સેવન વર્જિત માનવામાં આવે છે. અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે એક દંપતીના 23 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. લસણ-ડુંગળીના કારણે દંપતીમાં શરૂ થયેલો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિને પત્નીના ભોજનને લગતાં નિયંત્રણો સ્વીકાર્ય નહોતા. ગુજરાત હાઈ કોર્ટે છૂટાછેડાના નિર્ણયને પડકારતી પત્નીને અપીલ ફગાવી દીધી હતી.

શું છે સંપૂર્ણ મામલો

સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારી પત્ની ડુંગળી અને લસણ ખાવાથી સખત રીતે દૂર રહેતી હતી. જ્યારે તેના પતિ અને સાસરિયાની માન્યતાઓમાં આવા કોઈ આહાર પ્રતિબંધ નહોતા. કપલે 2002માં લગ્ન કર્યા હતા. પરંતુ લસણ-ડુંગળીના કારણે લગ્નના થોડા જ સમયમાં તકરાર શરૂ થઈ ગઈ હતી.

પત્ની ડુંગળી-લસણ ન ખાવાના નિયમનું ચુસ્ત પાલન કરતી હતી

પત્ની નિયમિતપણે પ્રાર્થનાસભામાં હાજરી આપતી હતી અને સંપ્રદાયના ડુંગળી અને લસણ ન ખાવાના નિયમને અનુસરતી હતી. તેના પતિ અને સાસુ તેમની રસોઈની આદતો બદલવા માંગતા નહોતા. જેના પરિણામે, તેમના માટે અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડતી હતી. રોજબરોજની તકરારના કારણે પત્ની બાળક સાથે તેના પિયરમાં જતી રહી હતી.

2013માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની કરી અરજી

2013માં, પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર ક્રૂરતા અને ત્યજી દેવાનો (desertion) આરોપ મૂક્યો હતો. 8 મે, 2024ના રોજ, ફેમિલી કોર્ટે લગ્નને રદ કર્યા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આનાથી બંને હાઈ કોર્માં પહોંચ્યા હતા, જેમાં પતિએ ભરણપોષણના આદેશ પર સવાલ ઉઠાવ્યા અને પત્નીએ છૂટાછેડાને પડકાર્યા, સાથે જ ભરણપોષણના આદેશનો અમલ કરાવવાની પણ માંગ કરી હતી.

પત્નીના વકીલે હાઇ કોર્ટમાં જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટમાં તેના પતિએ રજૂ કરેલો કેસ એ હતો કે તેની ધાર્મિક માન્યતા દ્વારા સંચાલિત ભોજનની પસંદગીઓના કારણે ઝઘડાઓ થતા હતા. પતિએ ફેમિલી કોર્ટને જણાવ્યું હતું કે તે કડક રીતે વર્તી રહી હતી, અને ફેમિલી કોર્ટે તેના દાવાઓને સ્વીકાર્યા હતા. પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસીલ અને તેની માતા પત્ની માટે ડુંગળી અને લસણ વગરનું ભોજન બનાવતા હતા.

પતિએ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે ડુંગળી અને લસણનો વપરાશ બંને વચ્ચે મતભેદોનું મુખ્ય કારણ હતું. તેણે કહ્યું કે પત્નીની રૂઢિચુસ્તતાના કારણે તેને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવો પડ્યો હતો અને તેના કારણે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મહિલાએ ફરિયાદ કરી કે પતિ ભરણપોષણ ચૂકવી રહ્યો નથી. પતિ બાકીની રકમ હપ્તાઓમાં કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે સંમત થયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button